અરૂણકુમાર પાસવાન કહે છે કે, “અહીં ગામની શાળામાં શિક્ષણની ગુણવત્તા સારી નથી. તેથી હું મારી દીકરીઓને વારાણસી લઈ ગયો હતો. શહેરની શાળામાં પ્રવેશ લીધાના ત્રણ મહિનામાં જ મારે તેમને પાછા ગામમાં લઈ જવા પડશે તે કોને ખબર હતી? ” કોવિડ -19 લોકડાઉનને કારણે માર્ચમાં રેસ્ટોરન્ટ બંધ થઇ ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં એક રેસ્ટોરન્ટના રસોડામાં કામ કરતા હતા અને મહિને 15,000 રૂપિયા કમાતા હતા.
મેની શરૂઆતમાં, જ્યારે હવે તેમના પરિવાર માટે ખોરાક ખરીદવાનું શક્ય ન હતું, ત્યારે પાસવાને - વારાણસીથી લગભગ 250 કિલોમીટર દૂર - બિહારના ગયા જિલ્લાના તેમના ગામ માયાપુર પાછા જવાનું નક્કી કર્યું. પાસવાને 8મી મેના રોજ મને ફોન પર કહ્યું, “હું આવતીકાલે સવારે 3 વાગ્યે મારા પરિવાર અને કેટલાક અન્ય લોકો સાથે અહીંથી રવાના થઈશ. અમે [યુપી-બિહાર] સરહદ સુધી ચાલીને ત્યાંથી બસ પકડીશું. કહે છે કે ત્યાંથી બસોની ગોઠવણ કરવામાં આવી છે. જો અમને રસ્તામાં કોઈ ટ્રક મળી જાય, તો અમે તેમને સરહદ સુધી છોડવાનું કહીશું.
પાસવાન અને 27 વર્ષની તેની પત્ની, સબિતા, તેમના ત્રણ નાના બાળકો - બે દીકરીઓ 8 વર્ષની રોલી અને 6 વર્ષની રાની અને 3 વર્ષના દીકરા આયુષ - સાથે બીજે દિવસે સવારે નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા રાજ્યની સરહદ પાર 53 કિલોમીટર દૂર, કરમનાસા ચેક-પોસ્ટ સુધી પહોંચ્યા. ત્યાં, બસમાં ચડતા પહેલા તેમણે બિહારના કૈમૂર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત આરોગ્ય શિબિરમાં થર્મલ સ્કેનિંગ કરાવવું પડ્યું. 11 મી મેના રોજ માયાપુર પહોંચ્યા પછી તેમણે મને કહ્યું, 'સદભાગ્યે, અમને ત્યાંથી રાજ્ય સંચાલિત બસ મળી, જેણે અમને ગયા પહોંચાડ્યા.' ગયા પહોંચ્યા પછી ગામમાં જવા માટે તેમણે બીજી બસની રાહ જોવી પડી. ગામમાં આવ્યા છે ત્યારથી તેઓ બીજા લોકોથી અલગ રહે છે.
પાસવાન કહે છે કે, રાની તેમના જૂના ઘેર પાછી આવીને ખુશ હતી, પણ રોલી ફરિયાદ કરે છે કે તેને તેની ‘શેહરવાળી શાળા’ (શહેરની શાળા) નો ગણવેશ યાદ આવે છે.
ઓગસ્ટ 2019 થી પાસવાન વાસણસીના જે રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યા હતા તે, પહેલા 22 મી માર્ચે જનતા કર્ફ્યુને કારણે બંધ કરવામાં આવ્યું હતું, અને પછી 25 મી માર્ચે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે ફરીથી બંધ કરવામાં આવ્યું. માર્ચના મધ્યમાં તેમને છેલ્લો પગાર મળ્યો હતો, પરંતુ એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં પરિસ્થિતિ કપરી બની ગઈ. વારાણસીમાં જિલ્લા અધિકારીઓ દ્વારા વિતરણ કરવામાં આવતા ફૂડ પેકેટ મેળવવા તેમને દિવસમાં બે વખત લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું.
પરંતુ 8 મી મેના રોજ પાસવાને મને કહ્યું કે, “છેલ્લા ચાર દિવસથી અમને ફૂડ પેકેટ મળ્યા નથી. અમારી પાસે ખાવા માટે કંઈ નથી. અમારે અહીંથી જતા રહેવા સિવાય છૂટકો નથી. ”






