સોમા કડાલી કહે છે કે તેમનો પરિવાર તેમની ભાળ લેવા માટે ફોન કરતો રહે છે. તે 85 વર્ષીય વ્યક્તિ તેમને સાંત્વના આપતાં કહે છે, “મને કંઈ નહીં થાય.”
અકોલે (અકોલા તરીકે પણ ઓળખાતા) તાલુકાના વારાંઘુશી ગામના તે ખેડૂત, મહારાષ્ટ્રના અહમદનગર (જે અહેમદનગર તરીકે પણ ઓળખાય છે) જિલ્લામાં અકોલેથી લોની સુધી ખેડૂતો દ્વારા યોજાયેલ ત્રણ દિવસીય વિરોધ પદયાત્રામાં (એપ્રિલ 26−28) જોડાયા છે. આટલી મોટી ઉંમરે પણ અહીં આવવા પાછળનું કારણ સમજાવતાં તેઓ કહે છે, “મેં મારું આખું જીવન ખેતરોમાં વિતાવ્યું છે.”
2.5 લાખ રૂપિયાના દેવાના બોજા હેઠળ દબાયેલા તે ખેડૂત કહે છે, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે 70 વર્ષ સુધી ખેતી કર્યા પછી પણ મને તેમાં ગતાગમ નહીં પડે.” કડાલી મહાદેવ કોળી આદિવાસી સમુદાયના સભ્ય છે અને તેમના ગામમાં પાંચ એકર જમીન ધરાવે છે. તેઓ કહે છે કે હવામાન આજકાલ જેટલું અણધાર્યું રહે છે, તેટલું તેમણે જીવનભર નથી જોયું.
તેઓ ઉમેરે છે, “મને સાંધાનો દુખાવો છે. જ્યારે હું ચાલું છું ત્યારે મારા ઘૂંટણમાં દુખાવો થાય છે. અને મને સવારે ઉઠવાનું મન નથી થતું. પરંતુ તેમ છતાં હું ચાલીશ.”












