પોતાની બહેનના મૃત્યુ વિષે વાત કરતા સુભાષ કબાડે કહે છે." આખરે તેમનું મૃત્યુ શા કારણે થયું એ તો રામ જાણે પરંતુ હું તો એટલું જાણું કે તેમના પર જોઈએ એટલું ધ્યાન અપાયું નહીં."
તેમના બહેન લતા સુરવસે મહારાષ્ટ્રના બીડ શહેરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે એક ડોકટરે તેમને તાત્કાલિક ધોરણે બે ઇન્જેક્શન આપવાનું સૂચન કર્યું હતું. તેથી સુભાષ તરત જ દોડતા મેડિકલ સ્ટોર પહોંચ્યા અને થોડીવારમાં જ ઈન્જેક્શન લઇને પાછા આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો ચિકિત્સક જતા રહ્યા હતા.
25 વર્ષના સુભાષ કહે છે, "તેમને ઘણા બધા દર્દીઓને તપાસવાના હતા તેથી તેઓ આગલા વોર્ડમાં ગયા. મેં નર્સને મારી બહેનને ઇન્જેક્શન આપવાનું કહ્યું, પણ જ્યારે તેમણે લતાની ફાઇલ જોઈ ત્યારે તેમને તેનો (ઇન્જેક્શનનો) કોઈ ઉલ્લેખ ન મળ્યો. મેં તેમને કહેવાનો પ્રયત્ન કર્યો કે થોડી મિનિટો પહેલા જ આ ઇન્જેક્શનો સૂચવવામાં આવ્યા હતા અને ફાઇલમાં એ નહીં હોય."
પરંતુ નર્સે તેમની વાત સાંભળતી નહીં. સુભાષ કહે છે કે જ્યારે તેમણે વ્યગ્રતાથી ઉતાવળે તેમને (પોતાની બહેનને) ઇન્જેક્શન આપવાની માંગણી કરી ત્યારે વોર્ડના પ્રભારી વ્યક્તિએ સિક્યોરિટીને બોલાવવાની ધમકી આપી. દર્દીને ઇન્જેક્શન આપવામાં આવે તે પહેલાં આ બધી બાબતોની સ્પષ્ટતા કરવાના પ્રયત્નમાં જ લગભગ કલાક નીકળી ગયો.
બીજે દિવસે સવારે 14 મી મેએ લતાનું મૃત્યુ થયું. 23 મી એપ્રિલથી, જે દિવસે તેમણે કોવિડ -19 ના સંક્રમણનું પોઝિટિવ પરીક્ષણ કર્યું તે જ દિવસથી, તેઓ હોસ્પિટલમાં હતા. બીડ શહેરના વકીલ સુભાષ કહે છે, “વખતોવખત તેમની તબિયત સુધરતી હોય તેમ જણાતું હતું." તેમને ચોક્કસ ખબર નથી કે જો તેમણે ઇન્જેક્શન સમયસર આપ્યા હોત તો તેમનો (બહેનનો)જીવ બચાવી શકાયો હોત કે નહિ. પરંતુ તેમને ખાતરી છે કે હોસ્પિટલમાં કર્મચારીઓની અછત છે. તેઓ કહે છે કે "તેની અસર દર્દીઓ પર થાય છે."
આ વર્ષે માર્ચ મહિનામાં શરૂ થયેલા કોવિડ - 19 ની બીજી લહેરના ઝડપી પ્રસારે ગ્રામીણ ભારતમાં વધુ પડતા કામના ભાર હેઠળ દબાયેલા જાહેર આરોગ્ય માળખા તરફ ધ્યાન દોર્યું છે. કર્મચારીઓની અછતવવાળી હોસ્પિટલો, (કામના અતિશય ભારથી) ખૂબ થાકી ગયેલા આરોગ્ય કર્મચારીઓ અને સારી સારવારથી વંચિત દર્દીઓ દેશભરના કેટલાક લાખો લોકોને મળતી તબીબી સંભાળની સ્થિતિનો ચિતાર આ જ છે.







