“જબ પ્યાર કિયા તો ડરના ક્યા… પ્યાર કિયા કોઈ ચોરી નહી… ઘૂટ ઘૂટ કર યું મરના ક્યા…”
પ્રેમમાં વળી ડર તે શેનો... પ્રેમ છે કાંઈ ગુનો નથી આ... પછી આમ ગૂંગળાઈ મરવું શું?
વિધી છેલ્લા કેટલાક સમયથી 60ના દાયકાની ક્લાસિક ફિલ્મ મુગલ-એ-આઝમના આ ગીતને ગણગણી રહી છે. તેઓ મધ્ય મુંબઈમાં તેમના નવા લીધેલા ભાડાના મકાનમાં છે, અને ગાતાં ગાતાં વચ્ચે અટકીને પૂછે છે, “અમે પણ કોઈ ગુનો નથી કર્યો. તો પછી અમારે શું કામ ડરીને રહેવું જોઈએ?”
તેમનો આ પ્રશ્ન પૂછવા ખાતર પૂછાયેલો પ્રશ્ન નથી, પણ એક પજવતો પ્રશ્ન છે. તેમના માટે મોતનો ડર વાસ્તવિકતા છે. જ્યારે તેઓ તે પરિવાર સામે બળવો કરીને તેઓ જેમને પ્રેમ કરતાં હતાં તે તેમની શાળાની સહપાઠી આરુષિ સાથે નાસી છૂટ્યાં ત્યારથી તેઓ તે ડરની સાથે જીવી રહ્યાં છે. તેઓ બંને એકમેકને ચાહે છે ને લગ્ન કરવા માંગે છે. પરંતુ તેમના સહજીવનનો માર્ગ લાંબો, કંટાળાજનક અને કઠોર પડકારોથી ભરપૂર છે. તેમને ડર છે કે તેમના પરિવારો, તેમના સંબંધને નહીં તો મંજૂરી આપે ન તો તેઓ આરુષિની જન્મથી આપયેલી સ્ત્રી લિંગની ઓળખ સાથેના સંઘર્ષને સમજી શકશે. આરુષિ પોતાને એક કિન્નર પુરુષ તરીકે ઓળખાવે છે, અને હવે તેઓ આરુષ નામથી ઓળખાવાનું પસંદ કરે છે.
તેઓએ વિચાર્યું હતું કે મહાનગરમાં જવાથી, તેમને તેમના પરિવારોથી આઝાદી મળશે. વિધીનો પરિવાર થાણે જિલ્લાના એક ગામમાં રહે છે, જે પડોશના પાલઘર જિલ્લામાં આવેલ આરુષના ગામથી લગભગ 20 કિલોમીટર દૂર છે. 22 વર્ષીય વિધી, મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે સૂચિબદ્ધ અગ્રી સમુદાયનાં છે. 23 વર્ષીય આરુષ, કણબી સમુદાયના છે, તેઓ પણ એક ઓબીસી સમાજના જ સભ્ય છે, પરંતુ તેમના ગામોના કડક જ્ઞાતિ પદાનુક્રમમાં સામાજિક રીતે તેઓ અગ્રીથી 'નીચે' છે.
તે બન્નેને મુંબઈ આવ્યાને એક વર્ષ થઈ ગયું છે; અને પરત ફરવાની તેમની કોઈ યોજના નથી. આરુષ ગામમાં તેમના પરિવાર વિષે ભાગ્યેજ વાત કરે છે, પરંતુ તેઓ કહે છે, “હું એક કાચા મકાનમાં રહેતો હતો, અને મને તે બાબતે હંમેશાં શરમ આવતી હતી. હું આને લઈને આઈ [મા] સાથે લડતો ઝઘડતો રહેતો હતો.”












