પોતાની છ વર્ષની દીકરીને નજીકમાં રમતી જોઈ રહેલા 28 વર્ષના અરુણા ચહેરા પર સ્તબ્ધતાના સાથે કહે છે, "તેઓએ મને મારી નાખી હોત..." 'તેઓ' એટલે અરુણાના પરિવારના સભ્યો, અરુણા આવું વિચિત્ર વર્તન શા માટે એ તેઓ સમજી શકતા ન હતા. અરુણા કહે છે, “હું વસ્તુઓ ફેંકતી. હું ઘરમાંથી બહાર જતી રહેતી. કોઈ અમારા ઘરની નજીક પણ ફરકતું નહોતું.”
અરુણા ઘણીવાર તમિળનાડુના કાંચીપુરમ જિલ્લામાં પોતાના ઘરની નજીકના પહાડોમાં ભટકતા રહેતા. તેઓ પોતાને નુકસાન પહોંચાડશે એ બીકે કેટલાક તેમનાથી દૂર ભાગતા, કેટલાક તેમની પર પથ્થર ફેંકતા. તેમના પિતા તેમને ઘેર પાછા લઈ આવતા, અને તેમને બહાર જતા અટકાવવા કેટલીકવાર તેમને ખુરશી સાથે બાંધી દેતા.
અરુણા (આ તેમનું સાચું નામ નથી) 18 વર્ષના હતા ત્યારે તેમને સ્કિઝોફ્રેનિયા હોવાનું નિદાન થયું હતું. આ બીમારી તેમની વિચારપ્રક્રિયા, તેમની લાગણી અને તેમના વર્તનને અસર પહોંચાડે છે.
કાંચીપુરમના ચેંગલપટ્ટુ તાલુકાના કોંડાંગી ગામની દલિત વસાહતમાં પોતાના ઘરની બહાર બેસીને પોતે કાઢેલા કપરા દિવસોની વાત કરતા કરતા અરુણા અચાનક અટકી જાય છે. અચાનક તેઓ ચાલવા માંડે છે. ગુલાબી નાઈટી પહેરેલા, ખૂબ ટૂંકા વાળવાળા, ઊંચા, ઘઉંવર્ણા અરુણા ચાલતા ચાલતા સહેજ ઝૂકીને તેમની એક ઓરડીની ઘાસ છાયેલી ઝૂંપડીમાં જાય છે અને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને બે ટેબ્લેટનાં પત્તાં લઈને પાછા આવે છે. ગોળીઓ બતાવતા તેઓ કહે છે, "આ ઊંઘની ગોળી છે. અને બીજી ચેતા-સંબંધિત તકલીફો ન થાય એ માટેની છે. હું હવે સારી રીતે ઊંઘી શકું છું. દવાઓ લેવા દર મહિને હું સેમ્બક્કમ [પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર] માં જાઉં છું.”
જો શાંતિ શેષા ન હોત તો કદાચ અરુણાની બીમારીનું નિદાન જ ન થઈ શક્યું હોત.



