બધી કબરોના પથ્થરો પર પંક્તિ છે, “દરેક નફ્સે (આત્માએ) મોતનો સ્વાદ ચાખવાનો છે.” દિલ્હીના સૌથી મોટા કબ્રસ્તાનોમાંના એક એવા અહલ-એ-ઇસ્લામ અલ-જદીદમાં મોટેભાગની કબરો પર આ પંક્તિ ભવિષ્યવાણી તરીકે નહીં, પણ સ્મૃતિ તરીકે લખવામાં આવે છે.
આ પંક્તિ — كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ — કુરાનની એક આયત છે અને મુખ્યત્વે મુસલમાનોના કબ્રસ્તાનની ઉદાસીમાં શાંતિ અને ગંભીરતાનો માહોલ ઉભો કરે છે. આ દરમિયાન એક એમ્બ્યુલન્સ આવે છે અને જેમનું મૃત્યુ થયું છે એમના કુટુંબીજનો નમાઝે જનાઝા(છેલ્લી પ્રાર્થના) પઢે છે. થોડીક જ ક્ષણોમાં વાન ખાલી થઇ જાય છે અને કબર ભરાઈ જાય છે. ત્યારબાદ એક મશીન કબરમાં માટી નાખે છે.
બહાદુરશાહ ઝફર માર્ગ પર સ્થિત મીડિયા કંપનીઓની ઈમારતોની પાસે આવેલા આ કબ્રસ્તાનના એક ખૂણામાં ૬૨ વર્ષીય નિઝામ અખ્તર, કબરના પથ્થરો પર મૃત્યુ પામેલા લોકોના નામ લખે છે. નિઝામ એ પથ્થરોને મેહરાબ કહે છે. પોતાની આંગળીઓ વચ્ચે નાજુકાઈથી પરકઝા (કેલીગ્રાફી બ્રશ) પકડીને તેઓ નુક્તો પાડે છે. નુક્તો એ ઉર્દુમાં અમુક અક્ષર પર લગાવવામાં આવતું બિંદુ છે કે જેથી તેમનું ઉચ્ચારણ નક્કી થાય છે. નિઝામ જે શબ્દ લખી રહ્યા છે તે ‘દુરદાના’ છે, જે કોવીડથી મૃત્યુ પામેલ એક વ્યક્તિનું નામ છે.
નિઝામ વાસ્તવમાં કબરના પથ્થરો પર બારીક અને મુશ્કેલ કેલીગ્રાફી શૈલીમાં નામ અને એની સાથેનું અન્ય લખાણ લખી રહ્યા છે. એ પછી તેમના સહયોગી હથોડી અને ફરશીની મદદથી પથ્થર પર લખાણને અંકિત કરશે - આવું કરવાથી રંગ ગાયબ થઇ જાય છે.
આ કાતીબ (લહિયો અથવા કેલીગ્રાફર) કે જેમનું નામ નિઝામ છે, ૪૦ કરતાં પણ વધારે વર્ષોથી કબરોના પથ્થર પર મૃત્યુ પામનાર લોકોના નામ અંકિત કરી રહ્યા છે. નિઝામ કહે છે કે, “મને યાદ નથી કે મેં કેટલા પથ્થરો પર લોકોના નામ અંકિત કર્યા છે. અત્યારના એપ્રિલ અને મે મહિનામાં, મેં લગભગ આવા ૧૫૦ લોકોના નામ લખ્યા જેઓ કોવીડથી મૃત્યુ પામ્યા હતા અને આટલા જ અન્ય લોકોના પણ જેમનું કોવીડ સિવાય અન્ય કારણોથી મૃત્યુ થયું હતું. દરરોજ હું ત્રણથી પાંચ પથ્થર તૈયાર કરું છું. એક પથ્થરમાં એક તરફ લખાણ કરવામાં એક કલાકનો સમય થાય છે.” એ પણ ઉર્દુમાં. બીજી બાજુ, સામાન્યપણે, મૃત્યુ પામનારનું નામ ફક્ત અંગ્રેજીમાં લખવામાં આવે છે. તેઓ હસીને મારી નોંધ લખવાની મજાક કરતાં કહે છે કે, “આ થોડીક સેકંડોમાં એક પત્તું ભરી દેવા જેટલું સરળ નથી.”













