જુલાઈ 2021માં જ્યારે પૂરનું પાણી શુભાંગી કાંબલેના ઘરમાં ઘૂસવા લાગ્યું ત્યારે તેઓ પોતાની ઘરવખરી (ઘરમાં જ) છોડીને બહાર નીકળી ગયા. જો કે બહાર નીકળતી વખતે તેમણે ઝડપથી બે નોટબુક પોતાની સાથે લઈ લીધી.
આવનારા અઠવાડિયાઓ અને મહિનાઓમાં 172 પાનાની એક એવી આ જ બે નોટબુક તેમને ઘણા (લોકોના) જીવ બચાવવામાં મદદરૂપ થવાની હતી.
એ જ સમય હતો જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં તેમનું ગામ અર્જુનવાડ પહેલેથી જ બીજી ભયંકર આપત્તિ - કોવિડ -19 કેસોમાં ઝડપી વધારા - નો સામનો કરી રહ્યું હતું. અને શુભાંગીની નોટબુકના પાના પર આ ગામના કોરોનાવાયરસના કેસોને લગતી તમામ માહિતી - જેમકે (સંક્રમિત વ્યક્તિનો) સંપર્ક નંબર, સરનામું, પરિવારના અન્ય સભ્યોની વિગતો, તેમનો તબીબી ઈતિહાસ, આરોગ્ય નોંધ વગેરે - ખૂબ ચોકસાઈથી લખેલા હતા.
33-વર્ષના આ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ - આશા) કહે છે, "[ગામમાં હાથ ધરવામાં આવેલા આરટી-પીસીઆર પરીક્ષણોના] કોવિડ રિપોર્ટ્સ પહેલા મારી પાસે આવતા." તેઓ ભારતના રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાન (નેશનલ રુરલ હેલ્થ મિશન) 2005 હેઠળ નિયુક્ત દસ લાખ મહિલા સમુદાય આરોગ્ય સંભાળ કાર્યકરોમાંના એક છે. તેમની નોટબુકની મદદથી તેમણે શિરોલ તાલુકાની પૂર રાહત શિબિરમાં ખસેડવામાં આવેલ કોવિડ-પોઝિટિવ ગ્રામીણને શોધી કાઢ્યો હતો, આ વ્યક્તિને કારણે ઓછામાં ઓછા બીજા 5000 લોકોને વાયરસનું સંક્રમણ થવાનું જોખમ હતું.
તેઓ કહે છે, "પૂરના કારણે, ઘણા લોકોના ફોન સ્વિચ ઓફ હતા અથવા નેટવર્ક કવરેજની બહાર હતા." શુભાંગી પોતે 15 કિલોમીટર દૂર તેરવાડમાં પોતાની માતાને ઘેર રહેવા ગયા હતા. તેમણે તરત જ પોતાની હસ્તલિખિત નોંધો ફંફોસીને એ કેમ્પમાંના બીજા કેટલાક લોકોના ફોન નંબર શોધી કાઢ્યા. "ગમેતેમ કરીને હું દર્દીનો સંપર્ક સાધી શકી."






















