લીલી ટેકરીઓ, નાનાં ઝરણાં અને તાજી હવાની પૃષ્ઠભૂમિ આગળ એક યુવાન પોતાની ભેંસોને ચરતી જોઈ રહ્યા છે.
જ્યારે હું તેમની પાસે પહોંચું છું ત્યારે તેઓ મને પૂછે છે, “શું તમે કોઈ સર્વેક્ષણ કરી રહ્યાં છો?”
હું કહું છું કે, “ના” અને ઉમેરું છું કે હું અહીં કુપોષણના કિસ્સાઓ વિષે અહેવાલ તૈયાર કરવા આવી છું.
અમે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મોખાડા તાલુકામાં છીએ, જ્યાં 5,221 બાળકો ગંભીર રીતે કુપોષિત હોવાનું બહાર આવ્યું છે - જે આ અહેવાલ મુજબ આ રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે.
અમે રાજધાની મુંબઈથી માત્ર 157 કિલોમીટરના અંતરે જ છીએ, પરંતુ અહીં હરિયાળી જોઈએ તો થાય કે આપણે એક અલગ જ દુનિયામાં છીએ.
રોહિદાસ કા ઠાકુર સમુદાયના છે, જે મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. પાલઘર જિલ્લામાં 38 ટકા વસ્તી આદિવાસી છે. આ યુવાન પશુપાલકને પોતાની સાચી ઉંમર વિષે ખાસ ખ્યાલ નથી, પરંતુ તેઓ વીસેક વર્ષના હોય તેવું લાગી રહ્યું છે. તેમના ખભા પર છત્રી લટકેલી છે, ગળામાં ગલપટ્ટો લપેટેલો છે અને તેમના હાથમાં એક લાકડી છે. તેઓ ઘાસમાં ચરી રહેલા તેમના બે પશુઓનું ધ્યાન રાખી રહ્યા છે. તેઓ કહે છે, “પશુઓને ભરપેટ ખાવાનું ફક્ત વરસાદના દિવસોમાં જ મળે છે. ઉનાળામાં તેમણે [ખોરાક શોધવા] ઘણું ભટકવું પડે છે.”






