મશરૂભાઈ તેમનું અનલોકન નોંધે છે, "અમે રબારીઓ તારાઓને જે નામોથી ઓળખીએ છીએ તે તમે જે નામોથી ઓળખો છો તેના કરતા જુદા છે. તુમ્હારા ધ્રુવ તારા, હમારા પરોડિયા [તમારો ધ્રુવનો તારો એ અમારો પરોડિયા]."
અમે તેમના ડેરામાં, વર્ધા જિલ્લાના દેનોડા ગામમાં એક અસ્થાયી વસાહતમાં, છીએ. તે નાગપુરથી 60 કિમી દૂર છે અને કચ્છ, જેની ધરતીને તેઓ પોતાનું ઘર કહે છે, તેનાથી 1300 કિલોમીટર દૂર છે.
આ રબારીના ડેરા પર સાંજ ઢળી રહી છે. માર્ચની શરૂઆતનો સમય છે, શિયાળાની ઋતુથી ઉનાળાની ઋતુમાં સંક્રમણનો આ સમયગાળો છે, જ્યારે સાંજના આકાશમાં કેસરી રંગો થોડો લાંબો સમય ટકી રહે છે. પલાશ અથવા કેસુડા (બ્યુટીઆ મોનોસ્પર્મા) ના જ્વલંત ફૂલો પૃથ્વીને કેસરી રંગની છાયામાં શણગારી રહે છે. રંગોનો તહેવાર હોળી નજીકમાં જ હોય છે.
મશરૂ મામા, તેમના લોકો તેમને પ્રેમથી આ નામે બોલાવે છે, અને હું આ વિદર્ભ પ્રદેશના સાંજના સ્વચ્છ આકાશ તરફ જોઈ રહ્યા છીએ. અમે કપાસના ખેતરની વચમાં તેમના પલંગ પર બેઠા બેઠા જાતજાતના અને ભાતભાતના વિષયો: તારાઓ, નક્ષત્રો, બદલાતી આબોહવા અને પર્યાવરણશાસ્ત્ર, તેમના લોકો અને પ્રાણીઓના હજારો મૂડ, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા વિચરતી જનજાતિના માણસનું - કઠોર, મુશ્કેલ, જીવન, તેઓ જે જાણે છે એ દંતકથાઓ અને લોકકથાઓ વિગેરે અનેક વિષયો પર વાતો કરીએ છીએ.
રબારીઓમાં તારાઓ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે રબારીઓ તેમને રસ્તો ચીંધવા માટે તારાઓ પર આધાર રાખે છે, ખાસ કરીને રાત્રે. તેઓ સમજાવે છે, "સાત-તારાનો સમૂહ, સપ્તર્ષિ અમારે માટે હરણ છે." તેઓ દાર્શનિક ઢબે કહે છે, "સાત તારાઓ પરોઢિયે અદૃશ્ય થઈ જાય છે, પરંતુ જ્યારે હજી અંધારું હોય છે, ત્યારે તેઓ એક નવી સવાર, નવા પડકારો અને અનેક શક્યતાઓના આગમનની ઘોષણા કરે છે."











