સૂરજ જટ્ટી હજી કિશોર વયે પણ નહોતા પહોંચ્યા જ્યારે તેમણે તેમના પિતાને કહ્યું હતું કે તેઓ ભારતીય સેનામાં જોડાવા માંગે છે. તેમના પિતા, શંકર, જેઓ પોતે એક નિવૃત્ત સૈનિક હતા, તેમના પુત્રને પ્રેરણા આપવામાં સફળ રહ્યા હોવાના વિચારથી ગર્વ અનુભવવા લાગ્યા.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પલુસ શહેરમાં એક અકાદમીમાં તાલીમ સત્ર દરમિયાન 19 વર્ષીય સૂરજ કહે છે, “મારા માટે, મારા ઘરનું વાતાવરણ જોતાં તે એક સ્વાભાવિક પસંદગી હતી. મને યાદ છે ત્યાં સુધી, મેં આના સિવાય ક્યારેય બીજું કશું વિચાર્યું જ ન હતું.” શંકર તેમના પુત્રના નિર્ણયથી ખૂબ ખુશ હતા. તે એક પિતાને મળી શકે તેવી સર્વોત્તમ મંજૂરી હતી.
એક દાયકા કરતાં પણ ઓછા સમય પછી, શંકર હવે તેમના પુત્રની પસંદગી વિશે એટલા નિશ્ચિત નથી. એક લાગણીશીલ અને ગર્વ અનુભવતા પિતામાંથી, વર્ષો જતાં તેઓ ક્યાંક શંકાસ્પદ બની ગયા છે. આ પરિવર્તન 14 જૂન, 2022ના રોજ થયું હતું. આ દિવસે જ સંરક્ષણ મંત્રી રક્ષામંત્રી રાજનાથે એક પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, “અગ્નિપથ યોજના હેઠળ, ભારતીય યુવાનોને સશસ્ત્ર દળોમાં અગ્નિવીર તરીકે સેવા કરવાની તક આપવામાં આવશે.”
આ યોજનાની શરૂઆત પહેલાં, 2015-2020 વચ્ચે સશસ્ત્ર દળોમાં ભરતીની પાંચ વર્ષની સરેરાશ 61,000 સૈનિકો હતી. જ્યારે 2020માં મહામારી ફાટી નીકળી ત્યારે ભરતી બંધ કરવામાં આવી હતી.
અગ્નિપથ યોજના “યુવાન, તંદુરસ્ત અને વૈવિધ્યસભર” લશ્કરી દળ માટે ભારતીય સેનામાં લગભગ 46,000 યુવાનો અથવા અગ્નિવીરની ભરતી કરશે. સરકારી અખબારી યાદી અનુસાર, નોંધણી માટે પાત્ર વય 17.5 થી 21 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી હતી, જે સંભવિતપણે દળોની સરેરાશ વયમાં 4 થી 5 વર્ષનો ઘટાડો કરે છે.
લશ્કરમાં આજીવન ભરતીની કારકિર્દીથી વિપરીત, આ નોકરીનો કાર્યકાળ માત્ર ચાર વર્ષ માટે જ હોય છે, જેના અંતે 25 ટકા ટુકડીને સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં નોકરી મળશે.










