“હું અહીં લગ્ન કરીને પસ્તાઈ ગઈ છું”
29 વર્ષીય રોઝી એક યુવાન નવવધૂ તરીકેનો પોતાનો અનુભવ શેર કરી રહ્યાં છે. તેઓ આમાં એકલાં નથી. શ્રીનગરના ડાલ તળાવના રહેવાસીઓનું કહેવું છે કે છોકરીઓ અહીં વસતા કોઈની પણ સાથે લગ્ન કરવા માંગતી નથી. પોતાના નાના પુત્ર માટે યોગ્ય પાત્રની શોધમાં રહેલાં ગુલશન નઝીર કહે છે, “પહેલેથી જ ત્રણ વખત અમારા પ્રસ્તાવનો અસ્વીકાર થયો છે. અહીં તો લગ્નની જોડી કરી આપનાર લોકોએ પણ આવવાનું બંધ કરી દીધું છે.”
બારૂ મોહલ્લાનાં આ માતા કહે છે કે તેનું કારણ એ છે કે રાજ્યના સૌથી મોટા તાજા પાણીના તળાવોમાંથી એક પર રહેતા રહેવાસીઓને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડે છે.
સુથાર તરીકે કામ કરતા મુશ્તાક અહેમદ કહે છે, “નવ વર્ષ પહેલાં, અમે અમારી બોટ લઈ જતા અને ડાલ તળાવની આજુબાજુના વિવિધ સ્થળોએથી પાણી એકત્રિત કરતા. એ વખતે પાણીની ટેન્કરો નહોતી.”
પરંતુ છેલ્લા એક દાયકા કરતાંય વધુ સમયથી, મુશ્તાક સવારે 9 વાગ્યે મુખ્ય માર્ગ પર પહોંચી જાય છે, અને રાજ્ય સરકાર તરફથી આવતી પાણીની ટેન્કર આવવાની રાહ જોવા લાગે છે. ગુડૂ મોહલ્લામાં રહેતો તેનો 10 સભ્યોનો પરિવાર તેમના પર નિર્ભર છે. વસ્તુઓને સરળ બનાવવા માટે, તેમણે પાણીનો સંગ્રહ કરવા ટાંકીઓ ખરીદી છે અને પાઇપલાઇન પણ સ્થાપિત કરી છે, જેમાં તેમણે 20,000-25,000 રૂપિયાનો ખર્ચ થયો છે. તેઓ કહે છે, “આ આયોજન ત્યારે જ કામ કરે છે જ્યારે વીજળી હોય, જે કાશ્મીરમાં શિયાળા દરમિયાન એક મોટી સમસ્યા છે.” આ મહિને (માર્ચ) ટ્રાન્સફોર્મરમાં ખામીને કારણે તેમણે પાણી ડોલમાં લઈ જવું પડ્યું હતું.






















