એક મોટરબાઈક અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવનારા 28 વર્ષીય બિમલેશ જયસ્વાલે જ્યારે મુંબઈની હદમાં આવેલા પનવેલમાં તેમના ભાડાના રૂમમાંથી તેમની હોન્ડા એક્ટિવા પર 1,200 કિલોમીટરથી વધુની સવારી કરીને મધ્યપ્રદેશ રિવા જિલ્લામાં આવેલા તેમના ઘરે જવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે એક હિંમતભર્યો નિર્ણય કર્યો હતો. તેમનું સ્કૂટર ત્રણ પૈડાંવાળું છે. અને તેમણે તે મુસાફરી તેમનાં પત્ની 26 વર્ષીય સુનિતા, અને 3 વર્ષીય રૂબી સાથે કરી હતી. તેઓ હહે છે, “મારી પાસે કોઈ વિકલ્પ નહોતો.”
બિમલેશ પનવેલમાં એક ઠેકેદાર માટે કામ કરતા હતા, જેની સાથે તેઓ દરેક નવા પ્રોજેક્ટમાં જોડાતા હતા, અને ત્યાં બાંધવામાં આવનારા દરેક નવા મકાનોની સાફસફાઈ કરતા. તેઓ મને રિવાના હિનૌતી ગામમાં તેમના ઘરેથી ફોન પર કહે છે, “એક પગે કંઈપણ કરવું અઘરું છે, પરંતુ કામ કર્યા વિના કોને છૂટકો છે?” 40 ડિગ્રીને પાર કરી જતી ધગધગતી ગરમીમાંય મુસાફરી કરવાના તેમના મક્ક્મ ઇરાદા પાછળ આ જ લાગણીનું પ્રેરણાબળ હતું તેમાં કોઈ શંકા નથી. આ મુસાફરીએ તેમના જેવા સ્થળાંતર કામદારોમાં તેમના ઘરે પહોંચવા માટેના એ જ ધીરજ, દૃઢ નિશ્ચય અને ઊંડી હતાશા પર પ્રકાશ પાડ્યો હતો.
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે કોરોનાવાયરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું, ત્યારે બિમલેશ જેવા લાખો દૈનિક વેતન મજૂરો મોટી દ્વિધામાં ફસાયા હતા. તેઓ કહે છે, “અમારી પાસે કોઈ કામ નહોતું, તેથી અમને ખોરાક કેવી રીતે મેળવવો તે પણ ખબર ન હતી. અમારું ભાડું અને વીજળીનું બિલ ચૂકવવાની તો વાત જ જવા દો. ચાર કલાકની નોટિસ આપીને આખા દેશને કોણ બંધ કરી દે છે?”
આ પરિવાર તેમ છતાંય પનવેલમાં 50 દિવસ સુધી રોકાયો હતો. બિમલેશ કહે છે, “સ્થાનિક NGO અમને ખોરાક અને રેશન પૂરું પાડતા હતા. અમે ગમે તેમ કરીને બચી ગયા હતા. અમે દરેક તબક્કાના અંતે લોકડાઉન હટાવવાની આશા રાખતાં. પરંતુ જ્યારે અમને સમજાયું કે હજુ આનો ચોથો તબક્કો પણ આવશે, એટલે અમે વિચાર્યું કે આ તો કાયમ માટે રહેશે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે, તેથી હિનૌતીમાં ઘરે મારો પરિવાર પણ અમારા માટે ચિંતિત હતો.”





