વર્ષ હતું 1949 નું. 14 વર્ષનો જીબન કૃષ્ણ પોદ્દાર તેના માતા-પિતા અને દાદી સાથે બરિસાલ જિલ્લામાં આવેલા તેના ઘેરથી પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો. 1946 ના નોઆખલીના રમખાણોને કારણે લોકોએ મોટી સંખ્યામાં સ્થળાંતર કરવાનું શરુ કર્યું હતું, જે ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું હતું. ઘર છોડ્યાના બે વર્ષ પછી આ પરિવાર આખરે સુંદરવનમાં સ્થાયી થયો હતો.
હવે ઉંમરના 80 મા દાયકામાં પહોંચેલા અને વરસાદી સાંજે પોતાના ઘરના વરંડામાં બેઠેલા જીબન એ સફરને યાદ કરે છે જે તેમને પાથારપ્રતિમા બ્લોકના કૃષ્ણદાસપુર ગામમાં લઈ આવી હતી, હવે તેઓ આ જગ્યાને પોતાનું ઘર કહે છે: “ત્યાં હિંસા ફાટી નીકળી હતી, તેથી અમારે ત્યાંથી ભાગવું પડ્યું હતું. મારા માતા ઉષા રાણી પોદ્દારે અમારો બધો સામાન 14 બેગમાં ભરી દીધો હતો. અમે વહાણ દ્વારા [તે સમયે પૂર્વ બંગાળમાં આવેલા] ખુલના શહેરમાં પહોંચ્યા હતા. એક ટ્રેન અમને બેનાપોલ લઈ ગઈ હતી. અમે અમારા પૈસા અને ઘરેણાં કપડાંમાં અને બીજા સામાનમાં છુપાવી દીધા હતા.
જીબનને યાદ છે કે તેમના પરિવારને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક શરણાર્થી શિબિરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેઓ બીજા 20000 થી વધુ લોકો સાથે 11 મહિના સુધી રહ્યા હતા. શરણાર્થીઓને દંડકારણ્ય (મધ્ય ભારતના જંગલથી છવાયેલા બસ્તર પ્રદેશ), આંદામાન ટાપુઓ અથવા પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સ્થાયી થવા માટે કહેવામાં આવ્યું હતું.
જીવન કહે છે, “મારા પિતા સરતચંદ્ર પોદ્દારે સુંદરવન પસંદ કર્યું હતું.” તેઓ પોતાની માલિકીની જમીન લઈને તેની પર ખેતી કરવા માગતા હતા. માચ અને ચાશ (માછલી અને ખેતી માટેના બંગાળી શબ્દો) એ બે (તેમને માટે) મુખ્ય આકર્ષણો હતા. તેમને લાગ્યું કે દંડકારણ્ય અને આંદામાન તો નિર્જન જંગલો છે જ્યાં રહેવું મુશ્કેલ હશે."




