શિલા વાઘમારે માટે રાત્રે સારી ઊંઘ આવવી એ તો એક દૂરનું સપનું છે.
૩૩ વર્ષીય શિલા કહે છે, “હું રાત્રે સૂઈ શકતી નથી... [આવું તો] વર્ષો થી થઇ રહ્યું છે.” શિલા જમીન પર પાથરેલી ગોદડી પર પલાંઠી વાળીને બેઠેલા છે, અને તેમની લાલચોળ આંખોમાં તેમની પીડા સ્પષ્ટ પણે ચમકી રહી છે. રાતના લાંબા કલાકો તેઓ ઉજાગરામાં કેવી રીતે પસાર કરે છે એની વાત કરવા જાય છે, એટલે તેઓ જેને દબાવવાની કોશિશ કરી રહ્યા છે એ ચીસો બહાર નીકળવા લાગે છે, તેઓ કહે છે, “હું આખી રાત રડતી રહું છું. મને...મારો શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે.”
શિલા મહારાષ્ટ્રના બીડ જિલ્લાના રાજુરી ઘોડકા ગામની સીમમાં રહે છે, જે બીડ શહેરથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલું છે. જ્યારે તેઓ તેમના બે રૂમના ઈંટ વાળા મકાનમાં સૂવે છે, ત્યારે તેમની બાજુએ સૂતેલા તેમના પતિ માનિક અને તેમના ત્રણ બાળકો, કાર્તિક, બાબુ અને રુતુજા તેમના રડવાના અવાજને લીધે ઉઠી જાય છે. તેઓ કહે છે, “મારા રડવાના લીધે તેમની ઊંઘમાં ખલેલ પડે છે. પછી હું મારી આંખો બંધ કરીને સૂવાની કોશિશ કરું છું.”
પણ ન તો ઊંઘ આવે છે, કે ન તો આંસુ રોકાય છે.
શિલા કહે છે, “મને ચિંતા હંમેશા સતાવતી રહે છે.” થોડી વાર થોભીને તેઓ કહે છે, “આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મારું પીશવી [ગર્ભાશય] કાઢી લેવામાં આવ્યું. તેનાથી મારું જીવન હંમેશ માટે બદલાઈ ગયું.” જ્યારે ૨૦૦૮માં તેમને હિસ્ટેરિક્ટમિ કરવામાં આવી, ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. ત્યારથી તેઓ લાંબા સમય સુધી ઉદાસીનતા, અનિદ્રા, તીવ્ર ચિંતા અને શારીરિક પીડા સહન કરી રહ્યા છે.















