“પહેલા ડાબે હાથે વળો. થોડે આગળ નીચે એક કાળા થાંભલા પર તમને એક ફૌજીનો ફોટો જોવા મળશે. એ તેનું ઘર છે.” રામગઢ સરદારનમાં સાયકલની મરામત કરવાનું કામ કરતા એક વૃદ્ધ બહારની તરફના વળાંક તરફ હાથ કરે છે. ગામના લોકો અજય કુમારને ફૌજી (સૈનિક) અથવા શહીદ તરીકે ઓળખે છે.
ભારત સરકારની નજરમાં તેઓ આ બેમાંથી એક પણ નથી.
જમ્મુ-કાશ્મીરમાં બળવાખોરી વિરોધી કાર્યવાહીમાં 23 વર્ષના આ યુવાને પોતાના છેલ્લા શ્વાસ સુધી આ દેશની સરહદોની રક્ષા કરી હતી એ વાતથી કોઈ ફરક પડતો નથી. તેમના વૃદ્ધ, ભૂમિહીન, દલિત માતા-પિતા પેન્શનનું અથવા તેમના દીકરા માટે શહીદના દરજ્જાનું સપનું પણ જોઈ શકતા નથી. તેઓ એક્સ-સર્વિસમેન કન્ટ્રિબ્યુટરિ હેલ્થ સ્કીમ અથવા તો કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ ડિસ્કાઉન્ટ હેઠળના કોઈપણ લાભો માટે પણ પાત્ર નથી. કારણ કે, સત્તાવાર રેકોર્ડમાં, અજય કુમાર ન તો સૈનિક હતા કે ન તો શહીદ.
તેઓ માત્ર એક અગ્નિવીર હતા.
લુધિયાણા જિલ્લાના આ ગામમાં, જોકે, સરકારી રેકોર્ડનું ઝાઝું મહત્વ નથી. સરસવના ફૂલોથી લહેરાતા સુંદર ખેતરોથી ભરેલા ગ્રાન્ડ ટ્રંક રોડ પર વાહન દ્વારા 45-મિનિટની સવારી કરીને તમે રામગઢ સરદારન પહોંચી શકો છો, અહીંની દીવાલોએ પોતાનો રેકોર્ડ પહેલેથી જ લખી દીધો હોય તેવું લાગે છે. ઓલિવ ગ્રીન રંગના કપડાં પહેરેલા દેખાવડા અજયના ફોટાવાળા પાટિયાંથી છવાયેલી દીવાલો અજયને શહીદ ભગતસિંહની હારમાં મૂકી આપે છે, જેઓ નવ દાયકા પહેલા તેમના સાથીઓ સાથે ફાંસીના માંચડે ચડી ગયા હતા, પરંતુ હજી સુધી અનુગામી સરકારો દ્વારા તેમને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
ગામમાં એક પાટિયા પર લખેલું છે:
નૌજવાન જડ ઉથડે ને
તાં નિઝામ બદલ જાંદે ને,
ભગતસિંહ અજ્જ વી પૈદા હુંદે ને,
બસ નામ બાદલ જાંદે ને…
[યુવાનો ઊઠે છે ત્યારે,
તખ્ત ઉથલાવી નાખે છે.
દરેક નવા દિવસ સાથે એક ભગતસિંહ જન્મે છે
ભલેને દુનિયા તેમને અલગ અલગ નામોથી ઓળખે...]













