શ્યામલાલ કશ્યપના પરિવારજનોને શ્યામલાલના મૃતદેહ પર - શબ્દશ: - બ્લેકમેલ કરવામાં આવ્યા હતા.
મે 2023 માં એર્રાકોટના 20 વર્ષના દાડિયા મજૂરે પોતાનો જીવ લીધો હતો; તેઓ તેમની સગર્ભા પત્ની 20 વર્ષની માર્થાને પાછળ છોડી ગયા હતા.
શ્યામલાલના ભાભી 30 વર્ષના સુક્મિતિ કશ્યપ કહે છે, “એ આત્મહત્યા હતી. મૃતદેહને અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો." તેઓ એર્રાકોટ ગામમાં ઉજ્જડ જમીનના કિનારે આવેલ તેમની ઝૂંપડીની બહાર બેઠા છે. ઝૂંપડીમાં ઝાંખું અજવાળું પથરાયેલું છે. તેઓ કહે છે, "શબ પરીક્ષણ અહેવાલમાં કોઈ કાવતરાની શક્યતા નકારી કાઢવામાં આવી હતી."
સરકારી હોસ્પિટલમાં કેટલાક સંબંધીઓ શ્યામલાલના મૃતદેહનો દાવો કરવા અને તેને તેમના ગામમાં ઘેર લઈ જવા માટે રાહ જોઈ રહ્યા હતા, (અચાનક બની ગયેલી આ દુઃખદ ઘટનાથી) ભાંગી પડેલા પરિવારજનો ગામમાં અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યા હતા. પરિવારજનો આઘાતમાં હતા, જે કંઈ બની ગયું હતું તેને, હજી સાચું માની શકતા નહોતા.
તે જ વખતે કેટલાક સ્થાનિકોએ પરિવારને જાણ કરી કે જો તેઓ હિંદુ ધર્મ અપનાવશે તો જ મૃતદેહના અંતિમ સંસ્કાર ગામમાં કરી શકશે.
આ પરિવાર મુખ્યત્વે મજૂરી કરીને અને છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ત્રણ એકર જમીનમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ જમીન પર તેઓ પોતાના ઉપયોગ માટે ચોખા ઉગાડે છે. પરિવારની એક માત્ર આવક શ્યામલાલની તનતોડ મજૂરીમાંથી થતી હતી, જે મહિને લગભગ 3000 રુપિયા જેટલી થવા જતી હતી.
સુક્મિતિ વિચારે છે કે શું આ કારમી ગરીબીમાં બાળકને ઉછેરવાના બોજને કારણે શ્યામલાલ પરેશાન હશે એટલે તો આત્મહત્યા નહીં કરી હોય? તેઓ કહે છે, "તેઓ કોઈ અંતિમ નોંધ પણ છોડી ગયા નથી."








