ત્રણ આંગળીઓ, કાપડનો ભીનો ટૂકડો અને એક હળવો સ્પર્શ. “મારે ખૂબ કાળજી રાખવી પડશે.”
વિજયા પૂત્રકુલુ મીઠાઈ બનાવવાની વાત કરી રહ્યાં છે - જે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ (એ.પી.)ની સ્થાનિક વાનગી છે. તેને ચોખાના સ્ટાર્ચના બારીક કાગળના પટલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં ગોળ અને સૂકો મેવા ભરવામાં આવે છે. અને તહેવારોની મોસમ તેના વગર અધૂરી છે. આ મીઠાઈ બનાવવામાં કુશળતા ધરાવતાં વિજયા દરરોજ આશરે 200 રેકુ બનાવે છે અને તેને સ્થાનિક મીઠાઈની દુકાનોને વેચી દે છે. તેઓ પારીને કહે છે, “જ્યારે હું પૂત્રકુલુ બનાવું છું ત્યારે મારે પૂરેપુરું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. હું કોઈની સાથે વાત પણ કરી શકતી નથી.”
અત્રેયાપુરમના રહેવાસી જી. રામાકૃષ્ણ કહે છે, “મારા ઘરમાં કોઈ પણ તહેવાર, વિધિ અથવા કોઈ પણ ખાસ પ્રસંગ પૂત્રકુલુ વિના અધૂરો છે.” તેઓ અત્રેયાપુરમમાં કેટલીક દુકાનોને પેકિંગ સામગ્રી અને બોક્સ મેળવવામાં મદદ કરે છે. તેઓ ગર્વથી જાહેર કરે છે, “મને તે ખરેખર ગમે છે કારણ કે તે નવાઈથી ભરેલી મીઠાઈ જેવું છે! શરૂઆતમાં, તે કાગળ જેવી લાગે છે, અને તમને લાગે છે કે તમે કાગળ ખાઈ રહ્યા છો. પરંતુ જ્યારે તમે એક બટકું ભરો છો, ત્યારે તે તમારા મોંમાં જ પીગળી જાય છે. મને નથી લાગતું કે દુનિયામાં આવી બીજી કોઈ મીઠાઈ છે.”
નવીન દેખાવવાળી આ સ્વાદિષ્ટ મીઠાઈ માટેના ચોખા આંધ્રપ્રદેશના ડૉ. બી. આર. આંબેડકર કોનસિમા જિલ્લામાંથી આવે છે. રામચંદ્રપુરમ બ્લોકના અત્રેયાપુરમ ગામનાં રહેવાસી અને આ મીઠાઈ બનાવનાર કાયેલા વિજયા કોટ સરસ્વતિ કહે છે, “તે ચોખા ચીકણા હોય છે, તેથી કોઈ પણ તેનો ઉપયોગ રેકુ [વરખ] બનાવવા સિવાય અન્ય કોઈ કામ માટે કરતું નથી.” અત્રેયાપુરમના પૂત્રકુલુને 2023માં ભૌગોલિક સૂચક (GI) ટેગ મળ્યો હતો. 14 જૂન, 2023ના રોજ વિશાખાપટ્ટનમમાં સર આર્થર કોટન અત્રેયાપુરમ પૂત્રકુલુ મેન્યુફેક્ચરર્સ વેલ્ફેર એસોસિએશનને GI ટેગ એનાયત કરવામાં આવ્યો હતો.
પૂત્રકુલુ માટેનો GI ટેગ એ આ રાજ્યમાં તિરુપતિ લાડુ અને બંદર લાડુ પછી ખાદ્ય પદાર્થોને આપવામાં આવેલો ત્રીજો એવોર્ડ છે. આંધ્રપ્રદેશમાં હસ્તકલા, ખાદ્ય પદાર્થો, કૃષિ અને અન્ય વિવિધ શ્રેણીઓ હેઠળ GI ટેગ ધરાવતાં 21 ઉત્પાદનો છે. ગયા વર્ષે, પૂત્રકુલુની સાથે, ગોવાની બેબિન્કા મીઠાઇને પણ GI ટેગ મળ્યો હતો અને અગાઉ, મોરેનાઝ ગજક અને મુઝફ્ફરનગરના ગોળને પણ GI ટેગ મળેલ છે.




















