મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી - મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ) માટેની પ્રવેશ પરીક્ષા પોતે પાસ કરી છે એ જાણ્યાના થોડા કલાકો પછી સંતોષ ખાડેએ પોતાના એક મિત્રને તેમને બીડથી લગભગ 180 કિલોમીટર દૂર સોલાપુર હંકારી જવા વિનંતી કરી. શેરડીના લીલાછમ ખેતરોમાં પહોંચીને તેમણે કોપ - વાંસ, સૂકા ઘાસ અને તાડપત્રીના બનેલ કામચલાઉ ઘરને - શોધવા નજર દોડાવી. મિનિટોમાં જ 25 વર્ષના એ યુવાને એ ઘર તોડી નાખ્યું જ્યાં તેના માતાપિતા 30 વર્ષથી વધુ સમયથી (દર વર્ષે) છ મહિનાની શેરડીની મોસમ દરમિયાન લણણીના કામ માટે કામદાર તરીકે રહેતા હતા.
ખાડેએ કહ્યું, "હું (આ પ્રવેશ પરીક્ષા આપનાર તમામ) એનટી-ડી (વિચરતી જાતિઓની એક પેટા-શ્રેણી) ઉમેદવારોમાં પહેલો આવ્યો છું - એ પાછળથી જાણ્યું ત્યારે થયેલા આંનદ કરતાં મારા માતા-પિતાને હવે ફરી ક્યારેય શેરડીની લણણીના કામ માટે કામદારો તરીકે કામ કરવું નહીં પડે એ સુનિશ્ચિત કર્યાનો આનંદ કંઈક ગણો વધારે હતો." તેઓ પરિવારના 3 એકરના વરસાદી ખેતરને અડીને આવેલા પોતાના ઘરના વિશાળ વરંડામાં પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને વાત કરી રહ્યા હતા.
અગાઉ આ સમાચારને આંસુ અને હાસ્યની છોળો વડે વધાવી લેવાયા હતા. ખાડે એ છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી દર વર્ષે દુષ્કાળગ્રસ્ત પાટોદાથી સોલાપુર જિલ્લામાં સ્થળાંતર કરતા શ્રમિકોનો દીકરો છે. તેમણે કહ્યું કે સાવરગાવ ઘાટમાંથી તેમના જેવા 90 ટકા પરિવારો વાર્ષિક લણણીના કામ માટે પશ્ચિમ મહારાષ્ટ્ર અને કર્ણાટકના શેરડી ઉગાડતા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે.
વંજારી સમુદાયના સભ્ય ખાડેએ ખૂબ સારા ગુણાંક સાથે 2021ની એમપીએસસીની પરીક્ષાઓમાં સફળતા મેળવી – તેમણે સામાન્ય યાદીમાં રાજ્યભરમાં 16મું અને એનટી-ડી શ્રેણીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.
લણણીની મોસમ દરમિયાન શેરડીના કામદારોની જિંદગીનું વર્ણન કરતાં તેમણે કહ્યું, “મારા માતા-પિતાએ વર્ષોના વર્ષો સુધી કરેલી તનતોડ મહેનતનું આ પરિણામ હતું. જો જાનવર કા જીના હોતા હૈ, વોહી ઉનકા જીના હોતા હૈ [તેમનું જીવન ઢોર જેવું હોય છે]. સૌથી પહેલા તો મારે મારા માતા-પિતાને આટલી બધી મહેનત ન કરવી પડે તેવું કરવું હતું, તે માટે મારે એક સારી નોકરી શોધવી હતી જેથી તેમને શેરડીની લણણીના કામ માટે સ્થળાંતર કરવું ન પડે."







