ધ મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 અનુસાર સીમાના પરિવારને સતત ગુણવત્તાયુક્ત ઔપચારિક સલાહ અને ચિકિત્સાની સગવડો, સુધાર ગૃહો અને તેમને સુરક્ષિત વાતાવરણ મળી રહે એ માટે ખાસ તૈયાર કરાયેલા અને તેમની દેખભાળ રાખવા માટે જવાબદાર વ્યક્તિ સાથેના આશ્રયસ્થાનો નજીકમાં સરળતાથી મળી રહેવા જોઈએ.
સામુદાયિક સ્તરે 1996 માં અમલમાં મૂકવામાં આવેલ ધ ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (ડીએમએચપી) અનુસાર દરેક જિલ્લામાં એક સાયકિયાટ્રિક (મનોચિકિત્સક), એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ (નૈદાનિક મનોવૈજ્ઞાનિક), એક સાયકિયાટ્રિક નર્સ (મનોચિકિત્સકીય પરિચારિકા) અને સાયકિયાટ્રિક સોશિયલ વર્કર (મનોચિકિત્સકીય સામાજિક કાર્યકર) હોવા ફરજિયાત બનાવાયું હતું. વધુમાં તાલુકા કક્ષાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં પૂર્ણ સમયના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ (નૈદાનિક મનોવૈજ્ઞાનિક) અથવા સાયકિયાટ્રિક સોશિયલ વર્કર (મનોચિકિત્સકીય સામાજિક કાર્યકર) હોવા જોઈતા હતા.
પરંતુ યવતમાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ - પીએચસી) ના એમબીબીએસ ડૉક્ટરો જ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોની સારવાર કરે છે. ડૉ. વિનોદ જાધવ, યવતમાલ માટેના ડીએમએચપી સંયોજક, સ્વીકારે છે કે પીએચસીમાં લાયકાત ધરાવતો પૂરતો સ્ટાફ નથી. તેઓ કહે છે, "જ્યારે કોઈ કેસની તેમના [એમબીબીએસ ડૉક્ટરના] સ્તરે સારવાર થઈ શકે તેમ ન હોય ત્યારે જ તે કેસ જિલ્લા હોસ્પિટલમાં મોકલી શકાય છે."
જો સીમાને તેમના ગામથી લગભગ 60 કિલોમીટર દૂર જિલ્લાના મુખ્ય મથક પર ઉપલબ્ધ ઔપચારિક સલાહની સુવિધા વિશેની જાણ હોત અને તેમણે તેનો લાભ લેવો હોત તો જવા-આવવા માટે એક-એક કલાક લાંબી બસ સવારી કરવાની તૈયારી રાખવી પડી હોત. ત્યાં જવા-આવવાનો ખર્ચો થતો હોત એ તો અલગ.
કાપસે કહે છે, "જો મદદ મેળવવા માટે એક કલાક લાંબી બસ સવારી કરવી પડે તેમ હોય તો તે માટે લોકો તૈયાર નહીં થાય કારણ કે તમારે વારંવાર ત્યાં જવું પડે." અહીં લોકો પોતાને મદદની જરૂર છે એ વાત સ્વીકારે એ પ્રાથમિક પડકાર તો હોય છે જ. અને મદદ મેળવવા માટે અવારનવાર કરવી પડતી એક-એક કલાક લાંબી બસ સવારી તેમાં વળી એક નવો પડકાર ઉમેરે છે.
જાધવ કહે છે કે ડીએમએચપી હેઠળની તેમની ટીમ દર વર્ષે યવતમાલના 16 તાલુકાઓમાં કોણ કોણ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે એ નક્કી કરવા માટે આઉટરીચ કેમ્પનું આયોજન કરે છે. તેઓ કહે છે, “લોકોને અમારી પાસે આવવાનું કહેવાને બદલે એ લોકો જ્યાં છે ત્યાં અમે પહોંચીએ એ વધુ સારું છે. અમારી પાસે પૂરતા વાહનો કે ભંડોળ નથી, તેમ છતાં અમારાથી જેટલું થઈ શકે તેટલું અમે કરીએ છીએ.
રાજ્યના ડીએમએચપી માટે બંને સરકારો (કેન્દ્ર અને રાજ્ય સરકારો) દ્વારા ત્રણ વર્ષ માટે લગભગ 158 કરોડ રુપિયાનું કુલ ભંડોળ મંજૂર કરાયેલ છે. જોકે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધીમાં એ બજેટના માંડ 5.5 ટકા - આશરે 8.5 કરોડ રુપિયા જ ખર્ચ્યા છે.
મહારાષ્ટ્રના ડીએમએચપીના ટૂંકા થતા જતા બજેટને જોતા વિજય અને સીમા જેવી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા વધારે ને વધારે લોકો આવી શિબિરો સુધી પહોંચી શકે એની સંભાવના નહિવત છે.