“તમે જાતે આવીને જુઓ” તેણે કહ્યું. “અમે બધા હુકમ માનીએ છીએ. એકબીજાથી દૂર બેસીને માસ્ક પહેરીને કામ કરીએ છીએ. આ રેશન મળ્યું એ બહુ સારી વાત થઈ પણ એ તો થોડા દિવસ ચાલશે. એ પછી શું કરીશું ખબર નથી પડતી.”
આ છે રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સુજનગઢ ગામથી અમારી સાથે ફોન પર વાત કરી રહેલ, ૫૫ વર્ષિય દુર્ગા દેવી. તેઓ દિશા શેખાવતી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અપાતા વિનામૂલ્ય અનાજ લેવાની લાઇનમાં ઊભા છે, જ્યાં તે શિબોરી કલાકાર તરીકે કામ કરે છે. શિબોરી એક જાતની બાંધણીની કળા છે. એમાં બધું જ કામ પૂર્ણ રૂપે હાથથી જ કરવાનું હોય છે. દુર્ગાદેવી જરા કડવું હસીને બોલે છે, “અમને કોરોના થશે કે નહીં ખબર નહીં પણ અમે ભૂખથી મરી જવાના એ ચોક્કસ.”
થોડા વર્ષો પહેલાં, તેમના પતિના અતિશય દારૂ પીવાના કારણે મરણ પામ્યા પછી, દુર્ગા દેવી તેમના ઘરમાં એકલા કમાવનાર છે. પોતાના નવ બાળકોનું ભરણ પોષણ તેઓ એકલા હાથે કરે છે. તેમને દિવસ દીઠ રૂ.૨૦૦ મળે છે, અને એક માસમાં લગભગ પંદર દિવસ કામ મળી રહે છે.
દુર્ગાદેવી લાઇનમાં તેમની પાછળ ઊભેલ, અન્ય રોજમદાર કલાકાર, ૩૫ વર્ષિય પરમેશ્વરીને ફોન આપે છે. પરમેશ્વરી (એ માત્ર આ જ નામ વાપરવા માગે છે.) કહે છે કે તેનો પતિ બાંધકામની જગ્યા પર મજૂરી કરે છે, પણ એ કામ બંધ થઈ જવાના કારણે નવરો બેઠો છે. એ કહે છે કે, “અમારી પાસે કામ પણ નથી, ને અનાજ ખરીદવા માટે પૈસા પણ નથી.” દુર્ગા દેવીની જેમ જ તેને લાગે છે કે અહીં મળનારા પાંચ કિલો લોટ, એક કિલો દાળ, અને મરચાં, હળદર અને ધાણાજીરાના ૨૦૦ ગ્રામના પેકેટોથી તેનું, તેના પતિ અને ચાર બાળકોનું આવતા થોડા દિવસ તો ચાલી જશે.
હવે ૬૫ વર્ષિય ચાંદી દેવી શિબોરી કલા તો નથી કરતા, પણ બીજાની જેમ રેશન લેવાની લાઇનમાં ઊભા છે. તે કહે છે, “મેં ચોવીસ કલાકથી કશું જ ખાધું નથી. ગઈ કાલે ખાધેલું. તે ય માત્ર ભાત, સાદો ભાત. એમ તો કાલે અમારે ત્યાં એક વાન આવેલી. એમાં બધાને ખાવાનું આપતા હતા પણ હું ધીમે ધીમે ચાલીને ત્યાં પહોંચું એટલામાં તો વાન જતી રહી. મને સજ્જડ ભૂખ લાગી છે.”










