ખુલ્લા મેદાનમાં આમલીના વિશાળ વૃક્ષોથી ઘેરાયેલી તેમની વર્કશોપમાં બેઠેલા, મણિરામ મંડાવી વાંસળી બનાવી રહ્યા છે - એક સાધન જેમાંથી પવન ફૂંકાય ત્યારે સંગીત વહે છે, ઉપરાંત તે જંગલી પ્રાણીઓને ડરાવવા માટે એક શક્તિશાળી ‘શસ્ત્ર’ તરીકે પણ વાપરી શકાય છે. જ્યારે તેઓ નાના હતા તે સમયની વાત કરતા 42 વર્ષના મણિરામ કહે છે, “તે સમયે જંગલમાં વાઘ, ચિત્તા અને રીંછ હતા, પણ જો તમે આ વાંસળી ઝૂલાવો તો તે તમારાથી દૂર રહેતા.
તેઓ વાંસના એ સાધનને ‘ઝૂલતી વાંસળી’ - અથવા છત્તીસગઢીમાં સુકુડ બાંસુરી કહે છે. તેમાં ફૂંકવા માટે કોઈ મોં હોતું નથી, (હવાની અવરજવર માટે બંને બાજુ) માત્ર બે છિદ્રો હોય છે, અને વગાડવા માટે તેને હવામાં લહેરાવવી પડે છે.
42 વર્ષના મણિરામ પોતે બનાવેલી પ્રત્યેક વાંસળી - તેઓ દિવસમાં એક વાંસળી બનાવી શકે છે - નજીકના નગરોમાં પ્રદર્શનોમાં અથવા હસ્તકલા સંસ્થાઓને આશરે 50 રુપિયામાં વેચે છે. ત્યારબાદ ગ્રાહકો એ જ વાંસળી ઓછામાં ઓછા 300 રુપિયામાં ખરીદે છે.
લગભગ ત્રણ દાયકા પહેલા વાંસળી બનાવવામાં નિષ્ણાત કારીગર મંદારસિંહ મંડાવી સાથે સાવ અચાનક થયેલી મુલાકાત મણિરામને બાંસુરી હસ્તકલામાં લાવવા માટે નિમિત્ત બની. તેઓ કહે છે, “હું લગભગ 15 વર્ષનો હતો અને જંગલમાંથી બળતણ માટે લાકડા વીણવા ગયો હતો ત્યારે તેમણે મને બોલાવ્યો અને કહ્યું કે ‘તું આમ પણ શાળામાં નથી જતો ને? ચાલ, હું તને કંઈક શીખવાડું’. તેથી મણિરામે રાજીખુશીથી શાળા અધવચ્ચે છોડી દીધી અને દિવંગત નિષ્ણાત કારીગર સાથે કામ કરવાનું શરૂ કર્યું.




