ચેન્નાઈની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નવી શાળામાં તેના પહેલા દિવસે, આઠ વર્ષનો રઘુ તેની સામેના પાટિયા પર કે પાઠયપુસ્તકોમાં તમિલમાં લખેલો એક પણ શબ્દ સમજી શકતો નથી. તેના વતન, ઉત્તર પ્રદેશના નાઓલી ગામની તેની શાળામાં તે હિન્દી અથવા ભોજપુરીમાં વાંચતો, લખતો અને વાતો કરતો હતો.
અત્યારે તે માત્ર ચિત્ર જોઈને જ પુસ્તકમાં શું છે તેની અટકળ કરે છે. “એક પુસ્તકમાં સરવાળા-બાદબાકીનાં ચિહન હતાં, એટલે તે ગણિતનું પુસ્તક હતું; બીજું પુસ્તક કદાચ વિજ્ઞાનનું હતું; અને ત્રીજા પુસ્તકમાં સ્ત્રીઓ, બાળકો, ઘરો અને પર્વત હતા,” તે કહે છે.
ચોથા ધોરણમાં બીજી હરોળની એક પાટલી પર તે ચૂપચાપ બેઠો હતો, ત્યારે બાજુમાં બેઠેલા છોકરાએ રઘુને એક સવાલ પૂછ્યો. “પછી બધા મને ઘેરી વળ્યાં અને તમિલમાં મને કંઈક પૂછવા માંડ્યાં. મને સમજાયું નહીં કે તેઓ શું કહે છે. એટલે મેં કહ્યું, ‘મેરા નામ રઘુ હૈ.’ તેઓ હસવા લાગ્યા. હું ડરી ગયો.”
મે ૨૦૧૫માં જ્યારે રઘુના પિતાએ જલૌન જિલ્લાના નાદિગાંવ વિસ્તારમાં આવેલું પોતાનું ગામ છોડવાનું નક્કી કર્યું ત્યારે ટ્રેનમાં ચેન્નાઈ જવા નીકળ્યા તે દિવસે રઘુ જમીન પર આળોટી ખૂબ રડ્યો હતો તે ઘણો રડ્યો હતો. તેનો પાંચ વર્ષનો ભાઈ સન્ની તેના પિતાનો હાથ પકડી રાખ્યો હતો. “તે (રઘુ) ને જવું નહોતું. તેની આવી દશા જોઈ મારો જીવ બળતો હતો,” તેની માતા ગાયત્રી પાલ કહે છે.
પણ કામ માટે ગામ છોડી બીજે જવાનું રઘુના માતાપિતા માટે અનિવાર્ય હતું. “જો ખેતીમાંથી અમને કંઈ નહીં મળે, તો અમારે સ્થળાંતર કરવું જ પડશે. તે વર્ષે (૨૦૧૩-૧૪), અમને માંડ માંડ બે ક્વિન્ટલ બાજરી મળી હતી. પાક માટે પાણી નથી, ગામમાં પણ કોઈ કામ નથી. અમારા ગામડામાંથી અડધું ગામ તો પહેલેથી જ રાજ્યની બહાર, જ્યાં પણ તેમને કામ મળે છે ત્યાં સ્થળાંતર કરી ચૂક્યું છે, ” ૩૫ વર્ષની ગાયત્રી કહે છે. તે અને તેનો ૪૫ વર્ષનો પતિ મનીષ, ચેન્નાઈમાં એક બાંધકામના સ્થળે કામ કરે છે, તેમના ગામના કેટલાક લોકો ત્યાં પહેલેથી જ કામ કરતા હતા.












