“મેં મારી આખી જિંદગીમાં ક્યારેય આ નદીને આટલી ગુસ્સામાં નથી જોઈ,” 55 વર્ષના સખુબાઈ વાઘ કહે છે. તે દિવસે, 4 ઑગસ્ટના રોજ, તેમનો 20 વર્ષનો દીકરો મનોજ અને તેઓ સવારના લગભગ 10 વાગ્યે ઘરમાં હતા. “બહાર ધોધમાર વરસાદ પડતો હતો,” એ યાદ કરે છે. “અચાનક જ એક મોટું મોજું અમારી ઝૂંપડીમાં ધસી આવ્યું. અમે કેટલીક ક્ષણો માટે ગળાડૂબ પાણીમાં હતા, એકબીજાનો હાથ પકડીને. એક જ ક્ષણમાં મેં જે બધું સાચવીને રાખ્યું હતું, કાળી મજૂરી કરીને મેળવેલા નાણાંથી ભેગું કર્યું હતું – તે બધું જ પાણી લઈ ગયું.”
આશરે 20 મિનિટના ભયાનક સમય પછી, સખુબાઈ અને મનોજ પાણી કાપીને નજીકના ઊંચાણવાળા સ્થળે પહોંચ્યા, જ્યાંથી તેઓ આ સર્વનાશને જોઈ રહ્યાં. તે સવારે વૈતરણા નદીના પાણીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ગેટ્સ ખ ગામમાં 24 બીજી ઝૂંપડીઓની સાથે તેઓની ઝૂંપડીનો પણ નાશ કરી નાંખ્યો. કલાકો પછી, સાંજ સુધીમાં, પાણી ઓસર્યાં.
“જુઓ, આ મારો સંસાર છે,” સખુબાઈ નદીના કાંઠે પડી ગયેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધતા કહે છે. કીચડવાળા મેદાનમાં ટૂટેલી ટાઇલ્સ એકબીજા પર ગોઠવાયેલી છે, વાંસની છત અને દીવાલોના અવશેષો અને ફાટેલી તાડપત્રી, બધુંજ દેખાય છે. કેટલાંય દિવસોથી કીચડમાં પડી રહીને કોહવાતા ચોખા, ડુંગળી અને બટાકાની તીવ્ર ગંધ, હવામાં છવાયેલી રહે છે. “મારાથી આ ગંધ સહન નથી થતી, લાગે છે કે મને ઉલ્ટી થઈ જશે,” સખુબાઈ કહે છે.











