જીવણભાઈ બારિયાને ચાર વર્ષના ગાળામાં બે વખત હૃદય રોગના હુમલા આવ્યા હતા. 2018 માં પહેલો હુમલો આવ્યો ત્યારે તેઓ ઘેર જ હતા. તેમના પત્ની ગાભીબેન તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. એપ્રિલ 2022 માં તેઓ અરબી સમુદ્રમાં ટ્રોલર (માછીમારી માટેની હોડી - જેની પાછળ માછલી પકડવા માટે મોટી જાળ લાગેલી હોય છે) ચલાવી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં સખત દુખાવો થયો હતો. તેમના એક સહકાર્યકરે વ્હીલ સંભાળી લીધું હતું અને બીજાએ ગભરાતા ગભરાતા તેમને સૂવામાં મદદ કરી હતી. તેઓ દરિયાકાંઠાથી લગભગ પાંચ કલાક દૂર હતા. બે કલાકથી વધુ સમય સુધી મોત સામે ઝઝૂમીને આખરે જીવણભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.
ગાભીબેનનો સૌથી ખરાબ ભય સાચો ઠર્યો હતો.
પહેલી વાર હૃદયરોગનો હુમલો આવ્યાને એક વરસ થયું એ પછી જીવણભાઈએ ફરી માછીમારી કરવાનું નક્કી કર્યું ત્યારે ગાભીબેન તેમના એ નિર્ણયથી બહુ ખુશ નહોતા. તેઓ જાણતા હતા કે એ જોખમી છે. જીવણભાઈ પણ એ જાણતા હતા. ગુજરાતના અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા નાના શહેર જાફરાબાદમાં તેમની ઝાંખા અજવાળાવાળી ઝૂંપડીમાં બેઠેલા ગાભીબેન કહે છે, “મેં તેમને ના પાડી હતી."
પરંતુ આ નગરના મોટાભાગના લોકોની જેમ 60 વર્ષના જીવણભાઈને માછીમારી સિવાય બીજું કોઈ કામ આવડતું ન હતું, માછીમારીના કામમાંથી તેમને વર્ષે લગભગ 2 લાખ રુપિયાની આવક થતી હતી. 55 વર્ષના ગાભીબેન કહે છે, “તેઓ 40 વર્ષથી આ ધંધામાં હતા.” હૃદય રોગનો હુમલો આવ્યા પછી એક વર્ષ સુધી તેમણે આરામ કર્યો, ત્યારે અમારું ઘર માંડ ચાલી શકે એ માટે મેં મજૂર તરીકે [બીજા માછીમારોની માછલીઓ સૂકવવાનું] કામ કર્યું. જ્યારે જીવણભાઈને લાગ્યું કે હવે તેઓ સ્વસ્થ થઈ ગયા છે ત્યારે તેમણે કામ પર પાછા ફરવાનું નક્કી કર્યું.
જીવણભાઈ જાફરાબાદમાં એક મોટા માછીમારની માલિકીના ફિશિંગ ટ્રોલર પર કામ કરતા હતા. વર્ષના આઠ મહિના - ચોમાસાની ઋતુ સિવાય - કામદારો આ ટ્રોલર્સને સળંગ 10-15 દિવસ માટે અરબી સમુદ્રમાં લઈ જાય છે. તેઓ થોડા અઠવાડિયા ચાલી શકે તેટલું પાણી અને ખાવાનું સાથે લઈ જાય છે.
ગાભીબેન કહે છે, "કટોકટીની સેવાઓની પહોંચ વિના દિવસો સુધી દરિયામાં દૂર રહેવું ક્યારેય સલામત નથી. તેઓની પાસે માત્ર પ્રાથમિક-સારવાર (ફર્સ્ટ-એઇડ) કિટ હોય છે. હૃદય રોગના દર્દી માટે આ રીતે રહેવું વધુ જોખમી છે."














