“અમારા ઘરમાં છત પરથી ઉંદરો નીચે પડતા ને મરી જતા જોયાનું મને યાદ છે. મારી જિંદગીમાં મેં જોયેલું એ સૌથી અપશુકનિયાળ દૃશ્ય હતું. આજે તમે કદાચ એ વાત પર હસશો, પરંતુ છત પરથી ઉંદર પડવાનો અર્થ એ હતો કે ક્યારે પાછા આવી શકીશું એની જાણ વિના અમારે અમારું એ ઘર છોડી દેવાનું.
એ તાદૃશ, સ્પષ્ટ અને સવિસ્તર વર્ણન કરે છે કોઈમ્બતુરના કલાપટ્ટીના રહેવાસી એ. કુળાંદઈઅમ્માલ. હાલ તેઓ 80-85 વર્ષના છે. 1940ના દાયકાની શરૂઆતમાં તમિલનાડુના એ શહેરમાં છેલ્લી વખત પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ કિશોર વયના પણ નહોતા.
કોઈમ્બતુરના - શીતળાથી માંડીને પ્લેગથી લઈને કોલેરા સુધીના - રોગચાળાના દુઃખદ ઈતિહાસને કારણે સામાન્ય સમજની બહાર હોય એવી એક એવી અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ છે જે બીજે પણ અસ્તિત્વમાં છે પરંતુ આ પ્રદેશમાં વધારે સુદૃઢ થયેલી જણાય છે. અને એ છે મોટી સંખ્યામાં ઊભા થયેલા 'પ્લેગ મરિયમ્મન' (જેને 'બ્લેક મરિયમ્મન' પણ કહેવાય છે) મંદિરો. આ શહેરમાં આવા 16 મંદિરો છે.
અને અલબત્ત કોવિડ-19 મહામારીએ 'કોરોના દેવી' મંદિર ઊભું થતું પણ જોયું છે. પરંતુ હજી આજે પણ ઘણા બધા લોકોને પ્લેગ મરિયમ્મન મંદિરો પર શ્રદ્ધામાં આસ્થા છે. નજીકના તિરુપુર જિલ્લામાં પણ (પ્લેગ મરિયમ્મનના) એવા કેટલાક મંદિરો છે જે હજી આજે પણ ઉત્સવોનું આયોજન કરે છે અને શ્રદ્ધાળુઓને આકર્ષે છે.
કોઈમ્બતુરમાં 1903 થી 1942 સુધીમાં ઓછામાં ઓછું 10 વખત પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં હજારોના મોત થયા હતા. રોગ નષ્ટપ્રાય થઈ ગયાના દાયકાઓ પછી હજી આજે પણ આ શહેરના લોકોના જનમાનસમાંથી પ્લેગના રોગની યાદો ભૂંસાઈ નથી. કુળાંદઈઅમ્માલ જેવા ઘણા અસલના જમાનાના લોકો માટે પ્લેગનો ઉલ્લેખ સરખો ય આ શહેરે ભૂતકાળમાં કંઈ કેટલું સહન કર્યું છે તેની ડરામણી યાદો તાજી કરાવનારો છે.
ધાંધલધમાલવાળા ટાઉન હોલ વિસ્તામાં પ્લેગ મરિયમ્મન મંદિરોમાંના કદાચ સૌથી વધુ પ્રસિદ્ધ મંદિરની બહાર એક ફૂલ વેચનાર વ્યસ્ત સાંજ માટે તૈયાર થઈ રહ્યા છે. ફૂલોને એકબીજા સાથે અટપટી રીતે ગૂંથવાનું ચાલુ રાખતા હાથ પરથી આંખો ઉઠાવ્યા વિના 40-45 વર્ષના કાનમ્મલ કહે છે, "આજે શુક્રવાર છે. વકરો સારો થશે."
"તે શક્તિશાળી છે. હવે અમારે ત્યાં કોરોના દેવીનું મંદિર છે તેનાથી ખાસ કોઈ ફરક નથી પડતો, બ્લેક મરિયમ્મન અમારામાંના એક છે. ખાસ કરીને જ્યારે અમે બીમાર પડીએ ત્યારે અને બીજી સામાન્ય પ્રાર્થનાઓ માટે પણ અમે તેમની પૂજા કરવાનું ચાલુ રાખીશું.” 'સામાન્ય પ્રાર્થના' શબ્દ દ્વારા તેઓ શ્રદ્ધાળુઓની પ્રમાણમાં રોજિંદી માંગણીઓ - સમૃદ્ધિ, સફળતા અને લાંબા આયુષ્ય - નો ઉલ્લેખ કરે છે. પ્લેગ યુગના અંતના લગભગ ચાર દાયકા પછી કાનમ્મલનો જન્મ થયો હતો. પરંતુ તેમની પેઢીના ઘણા લોકો પણ અણીને સમયે મદદ માટે મરિયમ્મન પાસે આવે છે.












