એ ડિકન્સની કોઈ નવલકથામાંથી નીકળી આવેલા કિરદાર જેવા લાગે છે. 71 વર્ષના એસ કંડસામી તરછોડાયેલા ઘરોની હાર વચ્ચે પોતાના ઓટલા પર બેસી એક સૂના ગામમાં, જ્યાં એ જન્મ્યા ને ઉછર્યા, એમના જીવનની પાનખર વિતાવે છે. એમની આ સાંજનું મિનાક્ષીપુરમમાં કોઈ સહભાગી નથી. જે છેલ્લા પચાસ કુટુંબો હતા -- વિક્રોક્તિ તો જુઓ, એમનું પોતાનું કુટુંબ સુદ્ધાં-- પાંચ વરસ થાયે ગામ છોડી ચાલ્યા ગયા છે.
આ ગામમાં એમનું એકલવાયું જીવન પ્રેમ,વિયોગ, આશા, અને નિરાશાની એક વાર્તા કહે છે. પાંગળી કરી નાખે એવી પાણીની તંગીને પહોંચી ના વળતા મીનાક્ષીપુરમના બીજા બધા લોકો ગામ છોડી ચાલ્યા ગયા. પણ કંડસામી અડગ હતા, "મારી પત્ની વીરલક્ષ્મી એ જે ઓરડામાં એના છેલ્લા શ્વાસો લીધા એ જ ઓરડામાં મારે મારી જિંદગીના છેલ્લા વર્ષો ગાળવા છે." એમના સગાવહાલાઓ કે મિત્રો પણ એમને ચલિત ના કરી શક્યા.
"મારા પોતાના કુટુંબ પહેલા બાકીના બધા ચાલ્યા ગયા," એમને કહ્યુ. પાંચ વરસ પહેલા જયારે એમનો બીજો છોકરો પણ લગ્ન કરી ને જતો રહ્યો ત્યાર પછી કંડસામી તમિળનાડુના તૂતકૂડીના શ્રીવૈકુંઠમ તાલુકાના આ ગામના એકમાત્ર રહેવાસી રહી ગયા. પાણીથી ત્રસ્ત જિલ્લાઓમાં મીનાક્ષીપુરમ સૌથી વધારે અસરગ્રસ્ત હતું.
"મને નથી લાગતું બધા કુંટુંબો બહુ દૂર ગયા હોય. લગભગ દસેક તો શેકકરકફૂડી ગામમાં જઈ વસ્યા છે." માંડ ત્રણ કિલોમીટર દૂર એ ગામમાં પણ પાણીની તંગી છે, કદાચ એમના ગામમાં હતી એથી ઓછી. એ ગામની પરિસ્થિતિ થોડી વધારે સારી છે ને એ થોડું વધારે જીવંત પણ છે. પ્રવૃતિઓથી એ ગામ એટલું જ ધમધમતું છે જેટલું મીનાક્ષીપુરમ શાંત છે. કોઈને પણ પૂછો આ તરછોડાયેલા ગામે જવાનો રસ્તો તો એ માણસ મૂંઝાઈ જવાનો. એક ચાની કીટલી વાળો ખાસ્સો અવાક થઇ ગયેલો; કહે કે, "તમારે ત્યાં મંદિરે જવું છે? બીજું તો ત્યાં કશુંય નથી."








