જલાલ અલી માછીમારી માટેના વાંસના ફાંસલા શી રીતે બનાવવા તે શીખવા પ્રેરાયા તેની પાછળનું કારણ હતું ભૂખ.
તેઓ દાડિયા મજૂરીના કા ને આધારે જીવનનિર્વાહ ચલાવવાનો પ્રયાસ કરતા એક યુવાન હતા, ચોમાસા દરમિયાન આ કામ મળી શકતું નહીં: તેઓ કહે છે, "વરસાદની મોસમમાં થોડા દિવસ ડાંગરના રોપા વાવવા સિવાય બાકીના દિવસોમાં કોઈ કામ ન હોય."
પરંતુ ચોમાસામાં તેઓ જ્યાં રહે છે તે દારાંગ જિલ્લામાં મોઉસિટા-બાલાબારીના નાળાઓ અને કળણો (ભેજવાળી પોચી જમીનો) માછલીઓથી ઊભરાઈ જતા અને માછીમારી માટેના વાંસના ફાંસલાની ખૂબ માંગ રહેતી. એ યાદ પર હસતા 60 વર્ષના જલાલ કહે છે, “હું માછીમારી માટેના વાંસના ફાંસલા શી રીતે બનાવવા તે શીખ્યો કારણ કે એ રીતે હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકતો હતો. ભૂખ્યા હો ત્યારે તમે પેટમાં કંઈક ખાવાનું નાખવાનો સૌથી સરળ રસ્તો શોધી કાઢો છો."
આજે જલાલ સ્થાનિક વાંસના ફાંસલા - સેપ્પા, બોસ્ના અને બાએર - ના નિષ્ણાત કારીગર છે, આ ફાંસલાઓથી આ જળાશયોમાંથી વિવિધ પ્રકારની માછલીઓ પકડી શકાય છે. આસામમાં મોઉસિટા-બાલાબારી વેટલેન્ડ્સ (આર્દ્ર ભૂમિ) પર આવેલા પુબ-પોદોખાટ ગામમાં પોતાના ઘરમાં તેઓ આ ફાંસલા બનાવે છે.
જલાલ કહે છે, “માત્ર બે દાયકા પહેલાં મારા ગામમાં તેમજ આસપાસના ગામોમાં લગભગ દરેકેદરેક પરિવાર માછલી પકડવા માટે [વાંસના] ફાંસલાનો ઉપયોગ કરતો હતો. તે સમયે માછલી પકડવા માટે કાં તો વાંસનો ફાંસલો હતો કે પછી હાથેથી બનાવેલ શિવ જાળ.” અહીં તેઓ સ્થાનિક રીતે ટોંગી જાળ અથવા ઝેટકી જાળ તરીકે પણ ઓળખવામાં આવતી જાળનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ એક ચોરસ આકારની જાળી છે જેના ચાર ખૂણા વાંસના દાંડા સાથે અથવા તાર સાથે જોડાયેલા હોય છે.
માછીમારી માટેના સ્થાનિક વાંસના ફાંસલાના નામ તેમના આકાર પ્રમાણે રાખવામાં આવ્યા છે: જલાલ સમજાવે છે, “સેપ્પા લંબચોરસ આકારના પીપ જેવો હોય છે. બાએર પણ લંબચોરસ આકારનો હોય છે પરંતુ તે ઊંચો અને પહોળો હોય છે. દારકી ફાંસલો એક લંબચોરસ ખોખા જેવો હોય છે." દુયેર, દિયાર અને બોઈશ્નો ફાંસલા વહેતા પાણીમાં - મોટે ભાગે પાણીથી ભરેલા ડાંગર અને શણના ખેતરોમાં, નાની નહેરોમાં, કળણોમાં, આર્દ્ર ભૂમિમાં અથવા નદીઓના સંગમમાં સચવાયેલા પાણીમાં - ગોઠવવામાં આવે છે.














