સુકુમાર બિસ્વાસ કોઈ સામાન્ય નારિયેળ વેચનાર નથી. સંગીત પ્રત્યે તેમને એવો તો પ્રેમ છે કે તેઓ કહે છે, "હું ખાધા વિના જીવી શકું પણ ગાયા વિના નહીં," અને એટલે જ તરસ્યા ખરીદદારો માટે નારિયેળ કાપે છે ત્યારે પણ સંગીત પ્રત્યેનો તેમનો આવો પ્રેમ તેમને સતત ગાતા રાખે છે. શાંતિપુરના લંકાપાડા વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારમાં તેઓ 'ડાબદાદુ' (નારિયેળ દાદા) તરીકે જાણીતા છે.
70 વર્ષના આ વૃદ્ધ સ્ટ્રો સાથેના લીલા નારિયેળ તમારા હાથમાં આપે છે, અને એકવાર તમે એનું પાણી પી લો એ પછી તેઓ નારિયેળ કાપીને તેમાંથી તમારા માટે નારિયેળની નરમ, મુલાયમ મલાઈ બહાર કાઢી આપે છે, અને આ બધો જ સમય તેઓ લોકગીતો ગાતા રહે છે. તેઓ લાલોન ફકીર, સંગીતકાર શાહ અબ્દુલ કરીમ, ભાબા ખ્યાપા જેવા સૂફી સંતોએ રચેલા ગીતો ગાય છે. તેઓ કહે છે કે આ ગીતોમાં તેમને તેમના જીવનનો અર્થ જડે છે અને એક ગીતનો અર્થ ટાંકીને તેઓ પારીને કહે છે: “આપણે સત્ય સુધી ત્યારે જ પહોંચી શકીએ જ્યારે આપણે જાણીએ કે ખરેખર સત્ય શું છે. અને સત્ય જાણવા માટે સૌથી પહેલા આપણે આપણી જાત સાથે પ્રામાણિક થવું પડે. અપ્રમાણિકતાથી છુટકારો મેળવીશું તો જ આપણે બીજાઓને પ્રેમ કરી શકીશું."
પોતાની ટોલી (ટ્રાઇસિકલ સાથે જોડાયેલ વાન) ચલાવીને તેઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય છે ત્યારે પણ ગાવાનું ચાલુ રાખે છે. તેમનું ગાયન સાંભળીને લોકોને જે-તે વિસ્તારમાં તેમની હાજરીની જાણ થઈ જાય છે.
ખરીદદારો સાથે ધંધાનું કામ નિપટાવતા તેઓ ઉમેરે છે, “એવા લોકો પણ છે જેઓ નારિયેળ ખરીદતા નથી પણ થોડો સમય ઊભા રહીને મારા ગીતો સાંભળે છે. (મને એનો કોઈ વાંધો નથી,) તેમણે નારિયેળ ખરીદવા જ એવું જરૂરી નથી. મને વધુ પડતા વેચાણની અપેક્ષા પણ નથી. જેટલું વેચાણ થાય છે તેટલાથી હું ખુશ છું."




