પન્ના જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ પડ્યો છે અને કૈથાબારો બંધ પૂરેપૂરો ભરાઈ ગયો છે. નજીકમાં આવેલા પન્ના ટાઈગર રિઝર્વ (પી.ટી.આર.)ની ટેકરીઓમાંથી પાણી વહીને અહીં આવે છે.
સુરેન આદિવાસી બંધ પર હથોડી લઈને પહોંચ્યા છે. તેઓ ઝડપથી વહેતા પાણીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે અને ખાતરી કરે છે કે કોઈ પથ્થરો કે કાટમાળ તેના પ્રવાહને અવરોધતા તો નથી ને. ઝડપથી વહેતા પાણીને વધુ સારી દિશા આપવા માટે તેઓ હથોડીનો ઉપયોગ કરીને કેટલાક પથ્થરોને ફરતે ખસેડે છે.
તેઓ પારીને કહે છે, “હું પાણી સારી રીતે વહી રહ્યું છે કે કેમ તે જોવા માટે આવ્યો છું.” બિલપુરા ગામના નાના ખેડૂતે હકારમાં કહ્યું, “હા, તે બરાબર વહી રહ્યું છે.” તેઓ ખુશ છે કે આનાથી થોડા મીટર દૂર આવેલો તેમનો ડાંગરનો પાક હવે સુકાઈ નહીં જાય.
નાના બંધ તરફ જોઈને તેઓ કહે છે, “તે એક મોટું આશીર્વાદ છે. ચોખા પણ ઉગી શકે છે, ને ઘઉં પણ. આ પહેલા હું અહીં મારી એક એકર જમીનને ન તો પાણી પૂરું પાડી શકતો કે ન ખેતી કરી શકતો.”
આ એક એવું આશીર્વાદ છે, જેને બિલપુરાના લોકોએ પોતાની જાતે આપ્યું છે, જ્યારે તેમણે બંધ બાંધવામાં મદદ કરી હતી.
આશરે એક હજારની વસ્તી ધરાવતા બિલપુરા ગામમાં મોટાભાગે ગોંડ આદિવાસી (અનુસૂચિત જનજાતિ) ના ખેડૂતો વસે છે. તેમાંના દરેક નાની સંખ્યામાં ઢોર ઉછેર કરે છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, ગામમાં માત્ર એક જ હેન્ડ પંપ અને એક કૂવો છે. સરકારે જિલ્લામાં અને તેની આસપાસ ઘણાં તળાવ બાંધ્યાં છે અને તેમને પથ્થરોથી બાંધ્યાં છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં કોઈ જળગ્રહણ વિસ્તાર નથી અને “પાની રુક્તા નહીં હૈ [પાણી રોકાતું જ નથી].”








