જ્યારે મધ્ય પ્રદેશના વન વિભાગ દ્વારા સહરિયા આદિવાસી ગુટ્ટી સમાન્યાને ‘ચિત્તા મિત્ર’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે “જો તમે ચિત્તાને જુઓ, એટલે ફોરેસ્ટ રેન્જરને જાણ કરજો.”
આ માટે કોઈ વળતર તો નહોતું મળવાનું, તેમ છતાં આ એક મહત્વપૂર્ણ કામ લાગતું હતું. અને આવું કેમ ન હોય, છેવટે 8,000 કિલોમીટર કરતાંય વધુ છેટેથી, સમુદ્ર અને જમીન વાટે, માલવાહક અને લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટરમાં ફરી ફરીને આફ્રિકન ચિત્તા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી રહ્યા હતા. કેન્દ્ર સરકાર તેમની મુસાફરી પાછળ વિદેશી હૂંડિયામણની કોણ જાણે કેટલી રકમ ખર્ચી રહી હતી અને તેમના રોકાણ અને તેમના સંરક્ષણ માટે સરકારી તિજોરી ખાલી કરી રહ્યું હતું.
ચિત્તા મિત્રો તેમને શિકારીઓથી સુરક્ષિત રાખશે, અને ગુસ્સે થયેલા ગ્રામજનોથી પણ બચાવશે, જેમના રહેણાંક વિસ્તારમાં તેઓ ફરી શકે છે. આ માટે, કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન (કે.એન.પી.)ની સરહદે આવેલા નાના નેસ અને ગામડાઓમાં ફેલાયેલા તમામ વનવાસીઓ, ખેડૂતો અને દૈનિક મજૂરો મળીને લગભગ 400-500 ચિત્તા મિત્રો, દેશ સેવા માટે તૈયાર થયા.
પરંતુ ચિત્તા આવ્યા ત્યારથી, તેઓએ મોટાભાગનો સમય પાંજરામાં જ પસાર કર્યો છે, અને કુનોના જંગલોમાં વાડ લગાવી દેવામાં આવી છે, એ માટે કે ચિત્તા તેની અંદર જ રહે અને એ માટે પણ કે અન્ય લોકો તે વાડની બહાર જ રહે. ચિત્તા મિત્ર બનવા માટે નોંધણી કરાવનાર શ્રીનિવાસ આદિવાસી કહે છે, “અમને અંદર જવાની મંજૂરી નથી. સેસાઈપુરા અને બાગચા ખાતે નવા દરવાજા લગાવી દેવામાં આવ્યા છે.”




















