પોતાના ઘરમાં ખુરશી પર શાંતિથી બેઠેલા ગોમા રામા હઝારે ઉદાસીનતાથી તેમના ગામના ખાલી મુખ્ય રસ્તા પર જોતા તેમનો સમય પસાર કરી રહ્યા છે.
ક્યારેક ક્યારેક તેઓ તેમના ખબરઅંતર પૂછવા તેમને ઘેર આવતા જતા-આવતા લોકો સાથે ગપસપ કરી લે છે. હઝારેએ લગભગ એક અઠવાડિયા પહેલા લાંબી માંદગીમાં તેમની પત્નીને ગુમાવ્યા હતા.
સાંજના 5 વાગ્યા છે, (2024 ના) એપ્રિલ મહિનાની મધ્યનો સમય છે અને ખૂબ જ ગરમી છે. ઉત્તર ગડચિરોલીના આર્મોરિ તાલુકાના વાંસ અને સાગના સમૃદ્ધ જંગલોની ગોદમાં વસેલું એક ગામ, પળસગાંવ, અસાધારણ રીતે શાંત છે. ગડચિરોલી-ચિમૂર લોકસભા મતવિસ્તાર માટે થોડા દિવસોમાં મતદાન થવાનું છે. બીજેપીના વર્તમાન સાંસદ અશોક નેતે આ બેઠક પર ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ કોઈ ઉત્સાહ, કોઈ ઉત્તેજના નથી. હકીકતમાં, ચિંતા છે.
છેલ્લા બે મહિનાથી ગોમા પાસે કોઈ કામ નથી. સામાન્ય રીતે આ સમય દરમિયાન બાસઠ-ત્રેસઠ વર્ષના આ ભૂમિહીન મજૂર અને તેમના જેવા ઘણા લોકો મહુઆ અથવા તેંદુ ભેગા કરતા હોય અથવા જંગલમાં વાંસ કાપતા હોય અથવા ખેતી સંબંધિત કામ કરતા હોય.
ગોમા કહે છે, "આ વર્ષે નહીં. પોતાના જીવનું જોખમ કોણ લે?"
ગોમા કહે છે, "લોકો પોતપોતાના ઘરમાં જ રહે છે." દિવસે ગરમી હોય છે. તમે બહાર જઈ શકતા નથી. ઘણા ગામો આવી સંચારબંધી માટે ટેવાયેલા છે કારણ કે ગડચિરોલી ચાર દાયકાઓથી સશસ્ત્ર સંઘર્ષથી પરેશાન છે અને સુરક્ષા દળો અને સશસ્ત્ર માઓવાદીઓ વચ્ચેના લોહિયાળ સંઘર્ષને કારણે ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. પરંતુ આ વખતે મહેમાનો અલગ છે અને જિંદગી અને આજીવિકા માટે સીધા ખતરારૂપ છે.
23 જંગલી હાથીઓના એક ઝૂંડે, જેમાં મોટાભાગે નાના મદનિયાંઓ સાથેની માદાઓ છે, પળસગાંવની નજીકમાં ધામા નાખ્યા છે.














