37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચોરસ કિલોમીટરનું તળાવ આર્કટિક મહાસાગરથી હિંદ મહાસાગર સુધી મધ્ય એશિયન ફ્લાયવે દ્વારા આવતા ઘણા યાયાવર પક્ષીઓને આકર્ષે છે.
તેઓ કહે છે, “હું પક્ષીઓની 350થી વધુ પ્રજાતિઓને ઓળખી શકું છું.” જેમાં નળ સરોવરમાં આવતા ઘણા યાયાવર પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. “અગાઉ અહીં પક્ષીઓની લગભગ 240 પ્રજાતિઓ જોવા મળતી હતી, હવે આ સંખ્યા 315થી વધુ થઈ ગઈ છે.”
ગનીએ પોતાનું બાળપણ આ તળાવમાં અને તેની આસપાસ વિતાવ્યું હતું. તેઓ કહે છે, “મારા પિતા અને દાદાએ આ પક્ષીઓની સુરક્ષા માટે વન વિભાગને મદદ કરી હતી. તેઓ બન્ને વન વિભાગમાં નાવિકો તરીકે કામ કરતા હતા અને હવે હું પણ તે જ કામને આગળ ધપાવી રહ્યો છું. જ્યારે મેં 1997માં શરૂઆત કરી હતી, ત્યારે ક્યારેક મને કામ મળતું હતું તો ક્યારેક નહોતું પણ મળતું.”
2004માં જ્યારે વન વિભાગે તેમને પક્ષીઓનું પેટ્રોલિંગ અને સુરક્ષા રાખવા માટે બોટમેન તરીકે નોકરીએ રાખ્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને “હું હવે દર મહિને લગભગ 19,000 રૂપિયા કમાઉં છું.”










