જમ્મુ અને કશ્મીરના ઊંચા પહાડોમાં તમને બકરવાલ સમુદાયનો કોઈ માણસ ભાગ્યે જ એકલો દેખાશે.
આ પશુપાલક સમુદાય તેમના પશુધન માટે ચરાઈના મેદાનોની શોધમાં હિમાલયમાં મોટા જૂથોમાં ફરે છે. દર વર્ષે પહાડી મુલકના મેદાનો અથવા બહકની મુસાફરી કરતા મોહંમદ લતીફ કહે છે, “ ત્રણથી ચાર ભાઈઓ તેમના પરિવારો સાથે એકસાથે મુસાફરી કરે છે. બકરાં અને ઘેટાંને એક ટોળા સાથે સાચવવાં સહેલું છે, તેથી તેમને એકસાથે ફેરવવામાં આવે છે.” દર વર્ષે તેમની સાથે લગભગ 5,000 ઘેટાં, બકરાં, ઘોડાઓ અને જાજરમાન બકરવાલ કૂતરાઓ મુસાફરી કરે છે.
બકરવાલોએ જમ્મુના મેદાનોથી પીર પંજાલ અને અન્ય હિમાલયની પર્વતમાળાઓમાંના ગોચર મેદાનો સુધીની મુસાફરીમાં લગભગ 3,000 મીટર સુધીનું ઊંચું ચઢાણ પાર કરવું પડે છે. તેઓ ઉનાળાની શરૂઆત પહેલાં માર્ચ મહિનાના અંતની આસપાસ મુસાફરીની શરૂઆત કરે છે, અને શિયાળો શરૂ થાય તે પહેલાં સપ્ટેમ્બર મહિનાની આસપાસ પરત ફરવાની શરૂઆત કરે છે.
દરેક એક તરફી મુસાફરીમાં લગભગ 6-8 અઠવાડિયાનો સમય થાય છે; જેમાં મહિલાઓ, બાળકો અને કેટલાક પુરુષો મુસાફરીમાં આગળ હોય છે. મોહંમદ લતીફ ઉમેરે છે, “તેઓ મહત્ત્વના ગોચરોમાં અમારી પહેલાં પહોંચે છે અને ડેરા [કેમ્પ]ને ટોળાના આગમન માટે તૈયાર રાખે છે.” તેમનું જૂથ રાજૌરી નજીકના મેદાનોથી લદ્દાખના ઝોજિલા પાસ પાસે આવેલ મીનામાર્ગ સુધી મુસાફરી કરે છે.


























