ચંપત નારાયણ જંગલે જ્યાં એકાએક મૃત્યુ પામ્યા તે કપાસના અસમતલ ખેતરનો એક ખડકાળ, અલાયદો ભાગ છે.
મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં તેને હલકી જમીન અથવા છીછરી જમીન કહેવામાં આવે છે. એક લીલીછમ ટેકરી આંધ કુળની જમીનના આ અસમતલ કેનવાસને એક મનોહર પૃષ્ઠભૂમિ આપી રહે છે. ખેતીની જમીનનો આ ટૂકડો ગામથી દૂર સાવ અલગ ભાગમાં આવેલો છે.
આકરા તડકા અને વરસાદથી બચવા માટે બનાવેલી ચંપતની ઘાસફૂસથી છાયેલી છાપરી હજીય આ ખડકાળ જમીન પર ઊભી છે. પોતાના પાકનું જંગલી ડુક્કરોથી રક્ષણ કરવા માટે ચંપત દિવસોના દિવસો અને રાતોની રાતો અહીં ખેતરમાં જ વિતાવતા. પડોશીઓ યાદ કરે છે કે જ્યારે જુઓ ત્યારે ચંપત ત્યાં જ હોય, તેમના ખેતરની સંભાળ રાખતા હોય.
આશરે 45 વરસના આંધ આદિવાસી ખેડૂત ચંપત આ છાપરીમાંથી તેમનું આખુંય ખેતર જોઈ શક્યા હશે - અને માત્ર ખેતર જ નહિ અંતહીન જણાતું નુકસાન, કુંઠિત થઈ ગયેલા અને કાલાં લાગ્યા જ નથી એવા કપાસના છોડ અને ઘૂંટણથીય ઊંચા ઊગી ગયેલા તુવેરના છોડ (નીંદણ) એ બધુંય જોઈ શક્યા હશે.
તેઓ સહજપણે જ સમજી ગયા હશે કે બે મહિનામાં, જ્યારે લણણી શરૂ થશે ત્યારે આ ખેતરોમાંથી કંઈ ઉપજશે નહીં. માથે દેવું હતું અને પરિવારના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવાનું હતું. અને હાથમાં કાણી કોડીય નહોતી.
















