સુનિતા દેવી તેમના પેટની ગાંઠ વધી જવાથી ચિંતિત હતા. તેઓ સારી રીતે ખાઈ શકતાં ન હતાં, અને તેમને સોજા આવ્યો હોય એવું લાગતું હતું. બે મહિનાથી વધુ સમય સુધી તેની અવગણના કર્યા પછી, તેઓ તેમના ઘરની નજીકની ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટરને મળવા ગયાં. ડૉક્ટરે જે કહ્યું તેનાથી તેઓ અચંબામાં પડી ગયા : “આપકો બચ્ચા ઠહર ગયા હૈ [તમે ગર્ભવતી થયા છો].”
તેઓ સમજી શકતાં ન હતાં કે આવું કઈ રીતે શક્ય છે – તેમણે ગર્ભાવસ્થાને રોકવા માટે કોપર-ટી મૂકાવ્યાને માંડ છ મહિના થયા હતા.
૨૦૧૯ની ઘટનાને યાદ કરતા તેમનો ઉંચે ખેંચીને અંબોડામાં બાંધેલા વાળવાળો ચહેરો, વધારે નિસ્તેજ ને દુઃખી દેખાય છે. તેમની ડૂબી ગયેલી, તેજવિહોણી આંખો થાકેલી છે. તેમના આખા ચહેરા પર જો કંઈ ચમકતું હોય તો એક માત્ર તેમના કપાળ પર લગાવેલી લાલ ચાંલ્લો.
૩૦ વર્ષીય સુનિતા (નામ બદલેલ) ચાર બાળકોની મા છે. તેમને બે પુત્રીઓ અને બે પુત્રો છે, જેમની ઉંમર ૪ થી ૧૦ વર્ષની વચ્ચે છે. મે ૨૦૧૯માં, જ્યારે તેમનો સૌથી નાનો બાળક ૨ વર્ષનો હતો, ત્યારે સુનિતાએ વધુ બાળકો ન થવા દેવાનું નક્કી કર્યું. તેમણે આ વિસ્તારમાં કાર્યરત આશા કાર્યકર્તા પાસેથી કુટુંબ નિયોજનની પદ્ધતિઓ વિષે માહિતી મેળવી. ઉપલબ્ધ વિકલ્પો પર વિચાર કર્યા પછી તેમણે અંતરા પસંદ કરી હતી, જે એક ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક છે. જે ત્રણ મહિના સુધી ગર્ભાવસ્થાને અટકાવવાનો દાવો કરે છે. તેઓ કહે છે, “મેં ઈન્જેક્શન અજમાવવાનું વિચાર્યું.”
અમે તેમના ૮X૧૦ ફૂટના ઓરડાની લાદી પર પાથરેલી સાદડી પર બેઠા છીએ, અને એક ખૂણામાં ખાલી ગેસ સિલિન્ડર પર વધુ સાદડીઓ ગોઠવેલી છે. સુનિતાના દિયરનો પરિવાર બાજુના ઓરડામાં રહે છે, અને ત્રીજા ઓરડામાં તેમના બીજા દિયર રહે છે. આ ઘર દક્ષિણ પશ્ચિમ દિલ્હી જિલ્લાના નજફગઢ વિસ્તારમાં આવેલા મહેશ ગાર્ડન નજીક છે.
ગોપાલ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) સુનિતાના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર છે. ત્યાં જ તેઓ આશા કાર્યકર્તા સાથે અંતારાનું ઈન્જેક્શન લેવા ગયાં હતાં. પરંતુ પીએચસીના ડૉક્ટરે કંઈક બીજું જ સૂચવ્યું. સુનિતા કહે છે, “ડૉક્ટરે મને તેના બદલે કોપર-ટી વિષે કહેવાનું શરૂ કર્યું. તેમણે મને કોપર-ટી મૂકાવવાનું કહ્યું, કારણ કે તે વધુ સુરક્ષિત રીત હતી. મેં ક્યારેય ડૉક્ટરને કોપર-ટી લગાવવા બાબતે પૂછ્યું ન હતું.” પણ ડૉક્ટરનો આગ્રહ હતો કે તેનાથી સારું રહેશે, તેઓ સ્પષ્ટ અવાજે કહે છે. ડૉકટરે મને પૂછ્યું હતું, ‘તમે વધુ બાળકો થવા દેવાનું અટકાવવા માગો છો ને?’”








