એમ. કરુપ્પિયા ઈચ્છે છે - મરવું તો કોમ્બુ વગાડતા વગાડતા. ઐતિહાસિક રીતે, યુદ્ધમેદાનમાં યુદ્ધની શરુઆતની ઘોષણા કરવા મોટેથી ફૂંકાતું એક સુષિર વાદ્ય હતું. શાબ્દિક રીતે, કહીએ તો લગભગ મૃત્યુ માટેનું સંગીત. પરંતુ કરુપ્પિયા પિત્તળ અથવા કાંસાથી બનેલું અને હાથીની સૂંઢના આકારનું આ શિંગુ વગાડતા વગાડતા આ જગતને અલવિદા કહેવા માગે છે તેનું કારણ જુદું છે.
૪૯ વર્ષીય કરુપ્પિયા માટે કોમ્બુ એક મહાન કલા-સ્વરૂપ છે. તેઓ ચોથી પેઢીના કલાકાર છે, મદુરાઇમાં તેમના ગામમાં આજીવિકા રળવા માટે નાછૂટકે ચલાવવી પડતી ઓટોરિક્ષા કરતા તેઓને આ વાદ્ય સાથે ઘણો વધારે લગાવ છે.
કરુપ્પિયા કહે છે કે લગભગ ત્રણ દાયકા પહેલા આ કળા ટોચ પર હતી. તેમને ૧૯૯૧માં મુખ્યમંત્રી જયલલિતાએ કોમ્બુ વગાડવા આમંત્ર્યા હતા તેમને હજુ પણ યાદ છે. “તે એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે અમને ફરી એકવાર વગાડવાનું કહ્યું!”
પરંતુ આજકાલ, તેમના માટે અને તિરૂપરનકુન્દ્રમ તાલુકાના મેલાકુયિલકુડી ગામના અન્ય કોમ્બુ કલાકારો માટે સરખું કામ મળવું મુશ્કેલ છે. આ લયબદ્ધ કળા પદ્ધતિ પહેલાથી નિસ્તેજ થઇ રહી હતી અને અત્યારે પોપ સંસ્કૃતિ તેના પર હાવી થઇ રહી છે. માર્ચ 2020 થી કોવિડ લોકડાઉન દરમિયાન તો આ કળા-સ્વરૂપને ભારે નુકસાન થયું છે. કલાકારો કામ અને પૈસા વિહોણા છે.
જ્યારે કરુપ્પિયાને મંદિરમાં, જાહેર સ્થળોએ અથવા અંતિમ વિધિ દરમિયાન કોમ્બુ વગાડવાનું કંઈ કામ મળે છે, ત્યારે તેમને પ્રસ્તુતિ દીઠ ૭૦૦-૧૦૦૦ રૂપિયા મળે છે. “ગયા વર્ષથી લોકડાઉન ના લીધે અમે અલગાર કોઈલ થિરુવિળા [તહેવાર] માટે કોમ્બુ વગાડ્યું નથી.. અમને એ સમય દરમિયાન આઠ દિવસનું કામ મળતું હતું.” આ વાર્ષિકોત્સવ (એપ્રિલ-મે) દરમિયાન જ્યારે લાખો શ્રદ્ધાળુઓ મદુરાઈ શહેરથી ૨૦ કિલોમીટર દૂર અલગાર કોઈલ મંદિરમાં એકઠા થાય ત્યારે કોમ્બુ કલાકારો તેમની કલા પ્રસ્તુત કરે છે.
ચેન્નાઈમાં લોક કલાકારો અને કળાઓને ટેકો આપતી સંસ્થા, અલ્ટરનેટીવ મીડિયા સેન્ટર (એએમસી) ના સ્થાપક આર. કાલેસ્વરન કહે છે, “દરેક વ્યક્તિ કોમ્બુ વગાડી શકતી નથી, તેમાં ઘણા કૌશલ્યની જરૂર પડે છે.” આ વાદ્ય કાર્યક્રમની શરૂઆતમાં અને પછી વચ્ચે-વચ્ચે વગાડવામાં આવે છે, પણ સળંગ વગાડવામાં નથી આવતું. આથી કલાકારો ૧૫ મિનીટ સુધી આ વાજિંત્ર વગાડે છે, પછી ૫ મિનીટ આરામ કરે છે, અને ફરી પાછા વાજિંત્ર વગાડે છે. “સામાન્ય રીતે, કલાકારો ખુબજ ઊંડો શ્વાસ લે છે, અને તેને [કોમ્બુમાં] ફૂંકે છે.” કાલેસ્વરન કહે છે, આ શ્વાસ લેવામાં તેમની નિપુણતા ના લીધે જ આ ૧૦૦ વર્ષની વયના કલાકારો પણ હજુ સુધી કામ કરી શકે છે.
![Left: M. Karuppiah is a fourth-generation kombu artiste. Right: K. Periasamy is the leader of the artistes' group in Melakuyilkudi](/media/images/02a-VNO_0887-PK.max-1400x1120.jpg)
![Left: M. Karuppiah is a fourth-generation kombu artiste. Right: K. Periasamy is the leader of the artistes' group in Melakuyilkudi](/media/images/02b-VNO_0948-PK.max-1400x1120.jpg)
ડાબે : કરુપ્પિયા ચોથી પેઢીના કલાકાર છે. જમણે: કે. પેરિયાસ્વામી મેલાકુયિલકુડીના કલાકારોના સમૂહના અધ્યક્ષ છે.
૬૫ વર્ષના કે. પેરીઆસામી મેલાકુયિલકુડીના કલાકારોના સમૂહ કોમ્બુ કલાઈ કુળુના અધ્યક્ષ છે. તેઓ માત્ર કોમ્બુ વગાડી જાણે છે. તેમણે ઘણા લોકોને આ કામ શીખવ્યું છે, અને હાલના મોટાભાગના કલાકારો અત્યારે ૩૦થી ૬૫ વર્ષના છે. પેરીઆસામી કહે છે કે, “અમને બીજું કોઈ કામ મળતું નથી. અમારી પાસે ફક્ત રેશન અરીસી (ચોખા) જ છે, અને તે પણ ખરાબ ગુણવત્તાના. અમે અમારો ગુજારો કઈ રીતે કરી શકીએ?”
તેમના ઘરની દરેક કિંમતી વસ્તુ - એક સ્ટેઈનલેસ સ્ટીલનો ઘડો, કાંસાનું ચોખાનું વાસણ, તેમના પત્નીની તાલી (મંગલસૂત્ર) આ બધું ગીરવે મુકવામાં આવ્યું છે. પેરીઆસામી નિસાસો નાખતા કહે છે, “અમારી પાસે હવે ફક્ત પાણી ભરવા માટે પ્લાસ્ટિકના વાસણો છે.” પરંતુ તેમની ચિંતાઓ આ કલા-સ્વરૂપ વિષે છે - સરકાર કલા અને કલાકારો માટે કંઈક કરશે ખરી? જો ના કરે, તો શું કોમ્બુ -વાદનની કળા પણ તેમની સાથે લુપ્ત થઇ જશે?
મેલાકુયિલકુડીના ૨૦ કોમ્બુવાદકો વચ્ચે ૧૫ વાજિંત્રો છે. છેલ્લા ૪૦ વર્ષોથી તેમના સમાજે શિંગાનું જતન કર્યું છે. જૂના કોમ્બુ વાદ્યોને ઇન્સ્યુલેશન ટેપથી કાળજીપૂર્વક સાંધવામાં આવે છે. જ્યારે સમય ખરાબ હોય, ત્યારે તેઓ કાં તો કોમ્બુ ગીરવે મુકે છે કાં તો વેચી દે છે. નવા વાજિંત્રો મોંઘા હોય છે, જેની કિંમત ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા હોય છે અને તે ૨૫૦ કિલોમીટર દૂર આવેલ કુંભકોણમમાં મળે છે.
લગભગ ત્રીસેક વર્ષના પી. મગરાજાન અન જી. પલ્પાંડી એ ૧૦ વર્ષની ઉંમર પહેલાથી જ કોમ્બુ વગાડવાનું શરુ કરી દીધું હતું. તેઓ આ કળા સાથે જ મોટા થયા છે, અને તેથી તેમને મળતું મહેનતાણું પણ વધ્યું છે. મગરાજાન કહે છે કે, “હું જ્યારે ૧૦ વર્ષનો હતો, ત્યારે મેં પ્રદર્શન કરવા બદલ ૫0 રૂપિયા મેળવ્યા હતા. હું રોમાંચિત થઇ જતો હતો. અત્યારે મને ૭૦૦ રૂપિયા મળે છે.”
પાલપંડી કડિયા કામના ૭૦૦ રૂપિયા કમાય છે. તેમાં નિયમિત આવક થાય છે અને કામની પણ ખાતરી હોય છે. પણ તેમને કોમ્બુ પસંદ છે -- જે તેઓ તેમના દાદા પાસેથી શીખ્યા હતા. તેઓ કહે છે, “જ્યારે તાતા (દાદા) જીવતા હતા, ત્યારે મને આ કળાનું મહત્ત્વ સમજાયું નહીં.” લોકડાઉનના લીધે તેમને બમણો ફટકો પડ્યો છે. ચણતર કામ પણ ઘટી ગયું છે અને સાથે સાથે કોમ્બુ વગાડવાની તકો પણ. તેઓ કહે છે, “હું મદદની વાટ જોઈ રહ્યો છું.”
કરુપ્પિયા કહે છે કે, “કાલીસ્વરન સાહેબ પાસેથી મદદ મળી,” જ્યારે મે મહિનામાં તમિલનાડુમાં લોકડાઉન જાહેર થયું ત્યારે કાલીસ્વરનના એએમસીએ દરેક કલાકારને ૧૦ કિલો ચોખા આપ્યા હતા. ચાર દીકરીઓ અને એક દીકરાના પિતા કરુપ્પીયાનો પરિવાર મોટો છે. પણ તેઓ કહે છે કે તેમને વાંધો નહિ આવે, “અમે ખેતરમાંથી થોડાઘણા શાકભાજી ય લાવી શકીએ. કદાચ રીંગણ અને ડુંગળી પણ. પણ શહેરમાં રહેતાં લોકો શું કરશે?”
![](/media/images/03-VNO_0762-PK.width-1440.jpg)
મેલાકુયીલ્કુડીના કોમ્બુ કલાકારોના સંગઠન કોમ્બુ કલાઈ કુળુના કલાકરો અને તેમના કેટલાક પરિવારજનો
![](/media/images/04-VNO_0965-PK.width-1440.jpg)
કે . પેરીઆસામી તેમના પુત્રો સાથે. તેમણે ઘણા લોકોને આ પરંપરાગત વાજિંત્ર વગાડતા શીખવ્યું છે.
![](/media/images/05-PK.width-1440.jpg)
જી . પાલપંડીને પોતાના દાદા પાસેથી શીખેલી કોમ્બુ વગાડવાની કળા પસંદ છે.
![](/media/images/06-PK.width-1440.jpg)
૧૦ વર્ષીય સતીશ (ડાબે) અને ૧૭ વર્ષીય અરુસામે (જમણે) મેલાકુયીલ્કુડીના કોમ્બુ કલાકારોની આગામી પેઢી છે. તેઓ આ વાદ્ય વગાડતા રહેવા માટે કટિબદ્ધ છે.
![](/media/images/07-PK.width-1440.jpg)
ડાબે : ૫૫ વર્ષીય એ. મલાર ૧૯૯૧માં કોમ્બુ વગાડીને દિવસના ૧૦૦ રૂપિયા કમાતા હતા એ યાદ કરે છે. અત્યારે તેઓ ૮૦૦-૧,૦૦૦ રૂપિયા કમાય છે. જમણે: એમ. કરુપ્પિયા કહે છે કે અત્યારે તેમને પુરતું કામ નથી મળતું.
![](/media/images/08-VNO_0831-PK.width-1440.jpg)
35 વર્ષના પી . માગરાજન સાત વર્ષના હતા ત્યારથી તેમણે આ વાદ્ય વગાડવાનું શરૂ કર્યું હતું
![](/media/images/09-VNO_0772-PK.width-1440.jpg)
૫૭ વર્ષીય પી . એન્ડી મેલાકુયીલ્કુડીના બાળકોને કોમ્બુ વગાડતા શીખવે છે.
![](/media/images/10-VNO_0752-PK.width-1440.jpg)
ડાબેથી : પી. એન્ડી, પી. માગરાજન , એક કોમ્બુવાદક (નામ જાણીતું નથી), અને કે. પેરીઆસામી તેમના વાદ્યો સાથે. અંગ્રેજી અક્ષર ' એસ ' ના આકારનું આ શિંગુ તાંબા, પિત્તળ અથવા કાંસાનું બનેલું છે .
આ વાર્તાનું લખાણ અપર્ણા કાર્તિકેયને પત્રકારના સહયોગથી લખ્યું છે.
અનુવાદ: ફૈઝ મોહંમદ