ઓગસ્ટ ૨૦૨૦માં, પોતાના બીજા બાળકના જન્મ પછી અંજની યાદવ પિયરે ગયા હતા. તેઓ ત્યારપછી એમની સાસરીમાં પરત ગયા નથી. ૩૧ વર્ષીય અંજની પોતાના બંને બાળકો સાથે હવે પોતાના પિયરમાં રહે છે. એમનું પિયર બિહારના ગાયા જિલ્લામાં બોધગાયા બ્લોકના બકરૌર ગામમાં આવેલું છે. તેઓ પોતાના પતિના ગામનું નામ જણાવવા નથી માંગતા, જો કે ત્યાંથી એમના સાસરીયે જતા અડધો કલાક પણ નથી લાગતો.
“સરકારી હોસ્પિટલમાં મારી ડિલિવરીના બે દિવસ પછી, મારા ભાભીએ મને ખાવાનું બનાવવાનું અને ઘરની સફાઈ કરવાનું કહ્યું. તેઓ કહેતા હતા કે તેમણે પણ બાળકને જન્મ આપ્યા પછી આવી રીતે ઘરની જવાબદારી ઉઠાવી લીધી હતી. તેઓ મારાથી ૧૦ વર્ષ મોટા છે. ડિલિવરી દરમિયાન મને ઘણો રક્ત સ્ત્રાવ થયો હતો. એટલે સુધી કે બાળકના જન્મ પહેલા નર્સે મને કહ્યું હતું કે મને લોહીની ગંભીર અછત [તીવ્ર એનીમિયા] છે, અને મારે ફળ અને શાકભાજી ખાવા જોઈએ. જો હું મારી સાસરીમાં રોકાઈ હોત, તો મારી તબિયત વધારે બગડતી હોત.”
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-૫) મુજબ, પાછલાં પાંચ વર્ષોમાં મોટાભાગના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બાળકો અને સ્ત્રીઓમાં એનીમિયા, એટલે કે લોહીની અછત તીવ્ર થઇ ગઈ છે.
અંજની કહે છે કે એમના ૩૨ વર્ષીય પતિ સુખીરામ ગુજરાતના સુરતમાં એક કાપડ મિલમાં કામ કરે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી ઘરે નથી આવ્યા. અંજનીના કહેવા મુજબ, “તેઓ મારી ડિલિવરી વખતે ઘરે આવવાના હતા, પણ એમની કંપનીએ એમને નોટિસ પાઠવી કે જો તેઓ બે દિવસથી વધારે રજા પાડશે, તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કોરોના મહામારી પછી આર્થિક, ભાવનાત્મક, અને સ્વાસ્થ્યના સ્તરોમાં અમારા જેવા ગરીબોની હાલત વધારે કફોડી થઇ ગઈ છે. આમ, હું એકલી આ બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.”
તેમણે પારીને જણાવ્યું કે, “તેમની (પતિની) અનુપસ્થિતિમાં મારી હાલત કથળી રહી હોવાથી, મારે ત્યાંથી ભાગવું પડ્યું. ડિલિવરી પછીની કાળજી તો જવા જ દો, ઘર કામ કે પછી બાળકોની સંભાળ રાખવામાં પણ કોઈ મારી મદદ નહોતું કરતું.” અંજની યાદવને હજુ પણ એનીમિયાની બિમારી છે. જેવી કે આ રાજ્યમાં લાખો અન્ય મહિલાઓને છે.
એનએફએચએસ-૫ના એક અહેવાલ મુજબ, બિહારની ૬૪% સ્ત્રીઓ એનીમિયાનો શિકાર છે.
કોવીડ-૧૯ મહામારીના સંદર્ભમાં ૨૦૨૦ની ગ્લોબલ ન્યુટ્રીશન રીપોર્ટ મુજબ, “ભારતે સ્ત્રીઓમાં એનીમિયાની સમસ્યા દૂર કરવાના લક્ષ્યની દિશામાં કોઈ પ્રગતિ નથી કરી, અને દેશની ૧૫થી ૪૯ વયવર્ગની લગભગ ૫૧.૪% સ્ત્રીઓ એનીમિયાનો શિકાર છે.”








