જ્યારે એક ઘરાક ભાવતાલ કરી રહ્યો હતો ત્યારે પ્રકાશ કોકરેએ કહ્યું કે, “આ ૩૫૦ રૂપિયા છે. કોરોનાને લીધે, અમે પહેલાથી જ કશું કમાઈ શકતા નથી.” તેમણે ઘેટાનું એક સફેદ નર બચ્ચું ત્રાજવા પર મુક્યું અને ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોની માંગ પર અડગ, બે ઘરાકોને કહ્યું “ત્રણ કિલો.” પશુને એના નવા માલિકને સુપરત કરતા તેમણે કહ્યું, “આ ખુબજ ઓછી કિંમત છે, પરંતુ મારે પૈસાની જરૂર છે.”
જ્યારે હું જૂનના છેલ્લા અઠવાડિયામાં બપોરના સમયે વાડા તાલુકાના એક વિસ્તાર દેસાઈપાડાના એક ખુલ્લા મેદાનમાં તેમના પરિવારને મળી ત્યારે તેમણે મને કહ્યું કે, “જવા દો, આપણે શું કરી શકીએ?” એ સમયે કોવીડ-૧૯ લોકડાઉનને ત્રણ મહિના પૂર્ણ થઇ ગયા હતા.
પ્રકાશનો પરિવાર ધનગર સમુદાયના, અન્ય છ ભરવાડ પરિવારો સાથે મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં એક મેદાનમાં બે દિવસથી રોકાયેલો હતો. અમુક મહિલાઓ, પશુઓના બચ્ચાઓ ભાગી ન જાય તે માટે નાઇલોનની જાળીઓ લગાવી રહી હતી. અનાજ, એલ્યુમીનીયમના વાસણો, પ્લાસ્ટીકની ડોલ અને અન્ય વસ્તુઓથી ભરેલી બોરીઓ મેદાનમાં ચારે બાજુ ફેલાયેલી હતી. થોડાક બાળકો ઘેટાના બચ્ચાઓ સાથે રમી રહ્યા હતા.
ઘેટા, બકરા અને એમના બચ્ચાઓને વેચવા – પ્રકાશે હમણાં થોડી જ વાર પહેલા સસ્તા ભાવે વેચ્યા તેમ – એ ધનગરના આ સમૂહ માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ સાત પરિવારો પાસે કૂલ મળીને ૨૦ ઘોડા સહિત, લગભગ ૫૦૦ જનાવર છે. તેઓ ઘેટા ઉછેરીને તેને રોકડ કિંમત અથવા અનાજ ના સાટામાં વેચે છે. બકરીઓને મોટેભાગે પોતાના કુટુંબ માટે તેમના દુધના ઉપયોગના કારણે રાખી મૂકવામાં આવે છે, અને અમુક વખત માંસના વેપારીઓને પણ વેચી દેવામાં આવે છે. ક્યારેક તેમના જનાવર ખેતરોમાં ચરે તો એમના ખાતરના બદલામાં તે ખેતરના માલિક આ પરિવારોને થોડાક દિવસો માટે ખોરાક, પાણી અને રહેઠાણ આપે છે.
ભરવાડોના સમૂહના ૫૫ વર્ષીય મુખી, પ્રકાશ કહે છે કે, “અમે ફક્ત મેંઢા [નર ઘેટા] વેચીએ છીએ અને માદા ઘેટા અમારી પાસે રાખીએ છીએ. ખેડૂતો અમારી પાસેથી ઘેટા ખરીદે છે કારણ કે તે એમની જમીનોમાં ચરવા માટે ઉપયોગમાં આવે છે. એમનું ખાતર માટીને ઉપજાઉ બનાવે છે.”











