સુપારી પુટેલને બરોબર યાદ પણ નથી કે એક દાયકામાં તેમણે કેટકેટલી હોસ્પિટલોમાં સમય ગુજાર્યો છે.
વર્ષો સુધી તેમના 17 વર્ષના બીમાર દીકરાની સારવાર માટે ઓડિશા અને છત્તીસગઢમાં હોસ્પિટલોની મુલાકાત લેવી પડી હતી, અને તે પછી થોડો સમય તેમના પતિ સુરેશ્વર માટે મુંબઈમાં.
2019 માં ચાર મહિનાના ગાળામાં બંનેના મોત નીપજતાં સુપારી દુ: ખમાં ડૂબી ગયા.
તેમના પતિ સુરેસ્વર માત્ર 44 વર્ષના હતા. સપ્ટેમ્બર 2019 માં તેઓ અને સુપારી ઓડિશાના બલાંગીર જિલ્લામાં આવેલા તેમના ઘરથી આશરે 1400 કિલોમીટર દૂર મુંબઈ સ્થળાંતર કરી ગયા હતા. શ્રમિકોના સ્થાનિક દલાલે બાંધકામ સ્થળ પર કામ માટે તેમની ભરતી કરી હતી. સુપારીએ કહ્યું કે, "અમે અમારું દેવું ચૂકવવા અને અમારા મકાનનું બાંધકામ પૂરું કરવા થોડાઘણા પૈસા રળવા ગયા હતા." બંને સાથે મળીને 600 રુપિયા દાડિયું રળતા.
તુરેકેલા બ્લોકના 933 લોકોની વસ્તીવાળા ગામ હિઆલમાં તેમના માટીના કાચા ઘર આગળ જમીન પર બેઠેલા 43 વર્ષના સુપારી યાદ કરતા કહે છે, “એક સાંજે મુંબઈમાં એક બાંધકામસ્થળ પર કામ કરતી વખતે મારા પતિને સખત તાવ આવ્યો હતો." તેઓ અને તેમનો પરિવાર માલી જાતિના, ઓબીસી છે.
સુપારી અને બાંધકામ સ્થળ પરના મુકાદમ સુરેસ્વરને ઓટોરિક્ષા અને એમ્બ્યુલન્સ દ્વારા શહેરના ઉપનગરોની ત્રણ હોસ્પિટલોમાં લઈ ગયા અને આખરે ઉત્તર-મધ્ય મુંબઈના સાયનની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા .
સુપારીએ કહ્યું, "દરેક હોસ્પિટલ અમને બીજી હોસ્પિટલમાં મોકલતી રહી કારણ કે [તે સમયે] અમારી પાસે આધારકાર્ડ અને બીજા કાગળો નહોતા." તેઓએ ઉમેર્યું, "તેમને કમળાના લક્ષણ હતા. તેમનું કમરની નીચેનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું, તેથી હું તેમના પગના તળિયા ઘસ્યા કરતી હતી." પરંતુ તેઓ રોગ વિશે ચોક્કસ કંઈ જાણતા નહોતા. બીજા જ દિવસે 6 ઠ્ઠી નવેમ્બર 2019 ના રોજ સુરેસ્વરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.








