“પહેલા તો તેમણે કહ્યું કે કાર્ડ પર સિક્કો નથી. પછી મેં તેના પર સિક્કો લગાડાવવા માટે જરૂરી બધા કાગળો તૈયાર કર્યા. પરંતુ તેઓએ મને કોઈ રેશન આપ્યું નથી. '
હું જ્યારે 12 મી એપ્રિલે પુના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંગામી ધોરણે કામ કરનાર ગાયાબાઈને મળ્યો ત્યારે તેઓ લોકડાઉન દરમ્યાન તેમના પરિવાર માટે અનાજ ખરીદવાની ચિંતામાં હતા. તેઓ જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ-PDS) કેન્દ્ર પરથી તેમના પીળા રેશનકાર્ડ ઉપર રેશન મેળવી શક્યા નહોતા. ગરીબી રેખાની નીચે (BPL) જીવતા પરિવારોને પીળું રેશનકાર્ડ આપવામાં આવે છે . પુનાના કોથરૂડના શાસ્ત્રી નગર વિસ્તારમાં તેમના ઘરની નજીકની દુકાનમાં દુકાનદારે તેમને કહ્યું હતું કે તેમનું કાર્ડ માન્ય નથી. "તેણે કહ્યું કે જે લોકોને રેશન મળવાનું છે તે યાદીમાં મારું નામ નથી."
ગાયાબાઈના પતિ, ભીખા, એક કારખાના કામદાર હતા. કારખાનામાં ફરજ દરમ્યાન થયેલા અકસ્માતમાં તેઓ અપંગ થઈ ગયા. તે પછી એક વર્ષ બાદ એટલે કે 14 વર્ષ પહેલા 45 વર્ષના ગાયાબાઈએ પુના મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી/PMC ) માં સફાઈ કામદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. હવે તેઓ તેમના પરિવારમાં એકમાત્ર કમાઉ સભ્ય છે. તેમની મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે, તેમની નાની દીકરીએ અને દીકરાએ બંનેએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે અને કંઈ કમાતા નથી. ગાયાબાઈ તેમની મહિને લગભગ 8500 રુપિયાની આવકમાંથી ઘર ચલાવતા હતા. દર મહિને. શાસ્ત્રી નગરની ચાલીમાં પતરાના છાપરાવાળું તેમનું ઘર બિસ્માર હાલતમાં છે. તેમણે કહ્યું, “મારી આ હાલત છે, ને છતાં મને રેશન મળતું નથી.”
રેશનની દુકાનના તેમના અફળ ધક્કા માત્ર લોકડાઉનને કારણે નથી. તેમણે કહ્યું, "તેઓ [દુકાનદારો] છ વર્ષથી મને રેશન આપતા નથી." ગાયાબાઈને આશા હતી કે બીજું કંઈ નહીં તો લોકડાઉન દરમ્યાન તો તેમને થોડીઘણી સહાનુભૂતિ થશે.
25મી માર્ચે લોકડાઉન શરૂ થયાને બે અઠવાડિયા કરતાં પણ વધારે દિવસો વીત્યા પછી પણ ગાયાબાઈની વસાહતમાં રહેતા ઘણા પરિવારો સ્થાનિક પીડીએસ ની દુકાનો પરથી અનાજ ખરીદી શકતા નહોતા. કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર ખાતરી આપવામાં આવી છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (૨૦૧) દ્વારા આવરી લેવામાં આવતા રેશનકાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરાશે, તેમ છતાં દુકાનદારોએ તેમને કોઈને કોઈ કારણ આપી પાછા કાઢ્યા હતા.




