“શાળેત જાયચાય … શાળેત… વૈભવ… વૈભવ… શાળેત… [શાળાએ જવું છે… શાળાએ…].”
પ્રતીક વારંવાર આ વાક્યનું પુનરાવર્તન કરે છે અને એના વર્ગના એક મિત્રને બૂમ પાડે છે, જે ત્યાં નથી. તે તેના એક ઓરડાના માટીના ઘરને ઉંબરે બેઠો બેઠો બાળકોના એક જૂથને નજીકમાં હસતા - રમતા જોઈ રહ્યો છે. 13 વર્ષનો પ્રતીક સવારથી સાંજ સુધી ત્યાં બેસી રહે છે. અથવા ઘરના આંગણામાં એક ઝાડને અઢેલીને તેની દુનિયાને - જે લગભગ 11 મહિનાથી ઉંબરા, ઝાડવાળા આંગણા અને ગાયોની ગમાણને ઓળંગીને ભાગ્યે જ આગળ વધી છે - જોતો ઊભો રહે છે.
રાશીન ગામના બીજા બાળકો પ્રતીક સાથે રમતા નથી. તેની માતા 32 વર્ષના શારદા રાઉત સમજાવે છે, “અહીંનાં બાળકોને તે (પ્રતીક) શું કહે છે એ સમજાતું નથી. તે એકલવાયો જ રહે છે.” પ્રતીક ગામના બીજા છોકરાઓ કરતાં અને તેમના મોટા બાળક કરતા પણ અલગ હોવાના ચિહ્નો ખૂબ વહેલા જ તેમના (શારદાના) ધ્યાનમાં આવ્યા હતા. તે 10 વર્ષનો થયો ત્યાં સુધી નહોતો સ્પષ્ટ બોલી શકતો કે નહોતો પોતાના કામ જાતે કરી શકતો.
જ્યારે પ્રતીક આઠ વર્ષનો હતો ત્યારે તેના ગામથી આશરે 160 કિલોમીટર દૂર અહમદનગર જિલ્લાના કરજત તાલુકાના સોલાપુરમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સર્વોપચાર ઋગ્ણાલયમાં તેને માઇલ્ડ ડાઉન્સ સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું. શારદા યાદ કરે છે અને બોલી ઊઠે છે, "10 વર્ષનો થયો ત્યાં સુધી તે બોલી શકતો નહોતો. પણ પછી તેણે શાળામાં જવાનું શરૂ કર્યું અને ત્યારથી તે મને આઈ [માતા] કહીને બોલાવે છે. તે સંડાસ જાય છે અને પોતાની જાતે નહાય છે. મારા છોકરા માટે શાળા અગત્યની છે. તે થોડા મૂળાક્ષરો શીખ્યો છે, અને જો તે (શાળાએ જવાનું) ચાલુ રાખે તો તે સુધરી શકે છે. પણ આ મહામારી [રોગચાળો]! ”
માર્ચ 2020 માં કોવિડ -19 મહામારીની શરૂઆતમાં પ્રતીક જ્યાં ભણતો હતો તે નિવાસી શાળાએ તેનું પરિસર બંધ કરી દીધું. તે 25 બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓમાંનો એક હતો - બધા 6 થી 18 વર્ષની વયના છોકરાઓ હતા - જેમને તેમના પરિવારો પાસે પાછા મોકલવામાં આવ્યા હતા.











