મધ્ય મુંબઈથી લગભગ 95 કિલોમીટર દૂર થાણે જિલ્લાના નિમ્બવલી ગામમાં સપર્યા ટેકરીની તળેટીમાં વસેલું છે અમારું ગેરેલપાડા. વારલી આદિવાસીઓના આ નાનકડા કસ્બામાં માંડ 20-25 ઘરો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પાડાએ (વસાહતે) દિવાળીના તહેવારની ઉજવણી તેની પોતાની પરંપરાગત ઢબે કરી હતી. આ મહિનાની શરૂઆતમાં જ સૌએ તહેવારની તૈયારી શરુ કરી દીધી હતી.
અમારા સમુદાય માટે દિવાળીના ચાર મહત્વના દિવસો એટલે વાઘબારસી, બારકી તિવલી, મોઠી તિવલી અને બલિપ્રતિપદા. આ વર્ષે 5 મી થી 8 મી નવેમ્બર દરમિયાન અમે આ તહેવારોઉજવ્યા હતા.
વારલી લોકો વાઘને ભગવાન માને છે અને વાઘબરસીએ અમે વાઘને પ્રાર્થના કરીએ છીએ. આદિવાસી પાડાઓ સામાન્ય રીતે જંગલમાં આવેલા હોય છે. અગાઉ વારલીઓનું જીવન સંપૂર્ણપણે જંગલ પર નિર્ભર હતું. તેઓ તેમના પશુધનને જંગલમાં ચરવા લઈ જતા, અને હજી આજે પણ તેઓમાંના ઘણા લોકો એમ કરે છે. તેમના પશુધન પર વાઘ હુમલો ન કરે એ માટે તેઓ વાઘની પ્રાર્થના કરતા - અને એ ભયમાંથી જ આદર જન્મ્યો (અને તેમાંથી વાઘની પૂજા કરવાનું શરુ થયું).












