“દીદી, મહેરબાની કરીને કંઈ કરો, નહીતર એ લોકો મને ગમે ત્યારે મારી નાખશે.” આ શબ્દો હું ગિરિજા દેવીને મળી ત્યારે એમના પ્રથમ શબ્દો હતા. તેઓ રડીને કહેતાં હતાં કે, “હું ગઈ કાલ બપોરથી નાનકડા અંધકાર વાળા રૂમમાં પુરાઈ ગઈ હતી, જેથી તેઓ મને મારે નહીં.”
ઘરના એક સાંકળા રસ્તા પાસેથી પસાર થયા ત્યાં વાસણોનો એક ઢગલો ધોવાની રાહ જોઈ રહ્યો હતો, હું એ રૂમમાં પહોંચી કે જ્યાં ગિરિજા તેમનાં સાસરી પક્ષના લોકોથી બચવા પુરાઈ ગયાં હતાં. રૂમની બહાર એક રસોડું અને નાનકડી ખુલ્લી જગ્યા હતી, જ્યાં તેમના પતિ અને બાળકો ખાવાનું ખાતા હતા.
૩૦ વર્ષીય ગિરિજાએ ૩૪ વર્ષીય કડિયા કામ કરતા હેમચંદ્ર અહિવાર સાથે ૧૫ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં. તેમને ૧૪, ૧૧ અને ૬ વર્ષીય એમ ત્રણ બાળકો છે.
સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે ગિરિજાએ તેમના સાસુ-સસરાની દરેક ગેરવાજબી માંગણી કે જેમાં તેમની નોકરી છોડવાની વાત પણ શામેલ હતી, વિરુદ્ધ તેમની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. તેમણે ઉત્તરપ્રદેશના મહોબા જીલ્લાના કબ્રાઈ વિસ્તારના પોતાના ગામ બસઓરામાં એક માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા) તરીકે ફરજ બજાવવાની શરૂ કરી ત્યારથી તો સમસ્યા વધુ વણસી હતી. અને હવે જ્યારે લોકડાઉનને કારણે એમના સાસરી પક્ષના લોકો ગામમાં પરત આવી ગયાં છે એટલે હવે તો તે અસહ્ય બની ગયું છે.
ગિરિજા કહે છે કે, “લોકડાઉન પહેલાં તે બંને [તેમના સાસું-સસરા] દિલ્હીમાં હતાં ત્યારે સ્થિતિ કાબુમાં હતી.” તેઓ મજુરી કરતાં હતાં. “પરંતુ જ્યારથી તેઓ પરત આવ્યાં છે, મારા માટે ગુજારો કરવો ખૂબ જ કઠીન બની ગયો છે. પહેલાં જ્યારે પણ હું ગામમાં કોઈ ગર્ભવતી મહિલાની ખબર કાઢવા જતી કે તેમને હોસ્પિટલ લઇ જતી તો તેઓ કહેતાં કે હું કોઈ આદમીને મળવા જાઉં છું. એક આશા વર્કર તરીકે, આ તો મારી ફરજ છે.” અમે જ્યારે ચાલીને ઉપર ધાબા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમનો ૬ વર્ષીય દીકરો યોગેશ અમારી પાછળ આવી રહ્યો હતો.
વધારે પડતું રડવાથી ગિરિજાની આંખો અને હોઠ ફૂલી ગયા હોય એવું લાગતું હતું. તેઓ અને હેમચંદ્ર સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમના બે કાકા અને તેમનો પરિવાર પણ આ જ ઘરમાં રહે છે, જો કે તેમના રસોડા અને પરિસર અલગ છે. પરંતુ, પ્રવેશદ્વાર અને આંગણું એક જ છે.







