

Leh, Jammu and Kashmir
|THU, AUG 01, 2019
“લાગે છે આપણે પર્વત દેવને નારાજ કર્યા છે”
લદ્દાખના ઊંચા ચરણના મેદાનોમાં ચાંગપા પશુપાલકોની ભ્રમણશીલ પ્રજાની યાક-સંબંધી અર્થવ્યવસ્થા એમના પર્વતોની નાજુક ઈકોસીસ્ટમના હવામાનમાં થતા મોટા ફેરફારોને કારણે કટોકટીમાં મૂકાઈ છે.
Reporter
Editor
Series Editors
Translator
ભૂખમરાને કારણે સિક્કીમમાં મોતને શરણે થતા 300 હિમાલયી યાક.
'બરફમાં ફસાયેલા લગભગ 300 યાક ઉત્તર સિક્કીમમાં ભૂખમરાને કારણે મોતને હવાલે'
'ઓગળતો બરફ સિક્કીમ યાકને માટે નોતરે તારાજી'
12મી મે ના છાપામાંના સમાચારોએ મને વ્યથિત કરી મૂક્યો. ફોટો પત્રકાર તરીકે મેં હિમાલયમાં કરેલા પ્રવાસોને કારણે હું જાણું છું કે આ ભ્રમણશીલ પશુપાલકો એમના પાળેલા પશુઓના રક્ષણ માટે કંઈ પણ કરી શકે છે. એ ભવ્ય પર્વતોની હરમાળાઓની વચમાં યાક એ આ ઊંચાણવાળા પ્રદેશોમાં રહેતા ભરવાડોની જીવનરેખા છે-- ભ્રમણશીલ પશુપાલકો જે એમના પશુધનને ઋતુઓના ચક્ર મુજબ ઉનાળાના અને શિયાળાના ચરણ મેદાનો તરફ દોરી જાય છે. યાકએ એમની આવકનું અને શિયાળા દરમ્યાન એમના ખોરાકનું મુખ્ય સાધન છે.
આગળ ઉલ્લેખેલા લેખોમાંના કેટલાક યાકના મોતને ગ્લોબલ વોર્મિંગ સાથે સાંકળે છે. એ સમજી શકાય એમ છે કે જો આ ખડતલ પ્રાણીને આટલો ફટકો પડે તો એના રખેવાળો પણ મુશ્કેલીમાં હશે જ. આથી મેં લદ્દાખની હાનલે ઘાટીમાંના ચાંગપા કુટુંબો પાસે પાછા જઈને એ લોકોની પરિસ્થિતિ કેવી છે તે સમજવાનો પ્રયત્ન કર્યો.
આગળ ઉલ્લેખેલા લેખોમાંના કેટલાક યાકના મોતને ગ્લોબલ વોર્મિંગ સાથે સાંકળે છે. એ સમજી શકાય એમ છે કે જો આ ખડતલ પ્રાણીને આટલો ફટકો પડે તો એના રખેવાળો પણ મુશ્કેલીમાં હશે જ. આથી મેં લદ્દાખની હાનલે ઘાટીમાંના ચાંગપા કુટુંબો પાસે પાછા જઈને એ લોકોની પરિસ્થિતિ કેવી છે તે સમજવાનો પ્રયત્ન કર્યો.
ભારતના ચાંગટાંગ પ્રદેશના ચાંગપા-- તિબેટીયન ઉચ્ચપ્રદેશોનો પશ્ચિમી વિસ્તાર-- કાશ્મીરી ઊનના ઉત્પાદકોમાં અગ્રગણ્ય છે અને તેઓ યાક પણ ઉછેરે છે. લેહ જિલ્લાની હનલે ઘાટીનો નયોમા બ્લોક એટલે ચાંગપાનાં ભરવાડોનાં જૂથનું ઘર-- ડીંક, ખારલૂગ, માક, રાક, અને ય્લપા. દિક અને રાકની ગણના સૌથી વધુ સારા યાક ભરવાડોમાં થાય છે.
"અમે ઘણા યાક ગુમાવી ચુક્યા છે," હનલેના 35 વર્ષીય નિષ્ણાત ડિક ભરવાડ ઝમ્પાલ ત્સેરિંગનું કહેવું છે. "હવે, અહીંનું વાતાવરણ (ઊંચા પર્વતીય પ્રદેશોનું) અણધાર્યું થઇ ગયું છે." મારી ત્સેરિંગ સાથે ઓળખાણ થઇ ઘાટીમાં ખાલડો ગામના સોનમ દોરજી દ્વારા, જે હેનલેની ભારતીય ખગોળીય વેધશાળામાં કામ કરે છે. ત્સેરિંગે અમારી સાથે એમના તાક્નાકપોના 14,000 ફુટ ઊંચાઈ પરના ચરણ મેદાનો પાસેના ખુર (લશ્કરના તંબુ માટેનો લદ્દાખી શબ્દ) વિષે વાત કરી.
સિક્કીમમાં મે 2009ની દુર્ઘટનાનાં ત્રણ વર્ષ પહેલા, નેપાળસ્થિત આંતરરાષ્ટ્રીય એકાત્મિક પર્વત વિકાસ કેન્દ્ર દ્વારા પ્રકાશિત એક પેપરમાં જણાવ્યા મુજબ, "ભૂતાન, ભારત, અને નેપાળમાં છેલ્લા વર્ષોમાં યાકની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે." સંશોધકોના મતે ભારતમાં યાકની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે, "1977માં 132,000થી 1997માં 51,000." આ ત્રણ દસકામાં 60 ટકાનો ઘટાડો કહેવાય.
સ્થાનિક પશુધન અને દૂધ વ્યવસાય વિભાગના આંકડાઓ મુજબ લેહ જિલ્લામાં યાકની સંખ્યા 1991માં 30,000 થી ઘટીને 2010માં 13,000 થઇ છે. આ 57 ટકાનો તીવ્ર ઘટાડો ફક્ત બે દાયકામાં થયો છે. સ્થાનિક આંકડા ઉપરના 'સરકારી' આંકડાઓ સાથે મેળ ખાતા નથી-- જે જિલ્લામાં યાકની સંખ્યા 2012માં 18877 બતાવે છે (જે મુજબ પણ 37 ટકાનો તીવ્ર ઘટાડો 21 વરસમાં દેખાય છે.)

Ritayan Mukherjee
ડિકની વસ્તી સુધી પહોંચવું અઘરું હતું. એમના ચરણના મેદાનો બીજા ભરવાડોની જાતિઓ કરતા વધુ ઊંચાઈએ હોય છે. વધુમાં, જે વિસ્તારોમાં એ લોકો એમના તંબુઓ નાખે છે તે ભારત અને ચીનની સરહદની ઘણી નજીક છે -- અને સામાન્ય નાગરિક માટે ત્યાં પહોંચવાની પરવાનગી નથી. પરંતુ આ વસંતનો સમય છે અને સોનમ દોરજીની મદદ છે જેને કારણે હું તેમના વસવાટ સુધી પહોંચી શક્યો.
ઝમ્પાલ ત્સેરિંગ કહે છે, "યાક અદભૂત પ્રાણી છે. એને અતિશય ઠંડુ તાપમાન માફક આવે છે અને તાપમાનનો પારો 35 થી 49 અંશ નીચે જાય તો પણ એ ખમી શકે છે. પરંતુ જો તાપમાન 12 થી 13 અંશ વધી જાય તો એને બહુ તકલીફ પડે છે. આખા શિયાળા દરમ્યાન એમની ધીમી ચયાપચયની પ્રક્રિયાને કારણે તેઓ શરીરની ગરમીનો સંગ્રહ કરી ને જીવી શકે છે. પરંતુ તાપમાનમાં વધઘટ થતી રહે તો યાકને મુશ્કેલી પડે છે."
ડિકની વસ્તીથી 40 કીલોમીટર દૂર કાલા પરી (કાલા પર્વત) પાસે હું બહુ ઓછા સ્ત્રી યાક માલિકોમાંના એક ત્સેરિંગ ને મળેલો. "પહેલાં કરતા હવે ગરમી વધુ છે એટલે આ ઘેટાં, અને યાકના શરીર પર જે વાળનો જથ્થો રહેતો હતો પહેલા એવો હવે નથી હોતો. હવે એમના વાળ બહુ ઓછા ને ઝાંખા થઇ ગયા છે," એવું તેઓ કહે છે. "એ થોડા અશક્ત પણ લાગે છે. યાક જેટલા અશક્ત એટલી એમની ઉત્પાદકતા ઓછી. અમારી યાકને કારણે અમારી જે કમાણી થતી હતી તે છેલ્લા પાંચ વર્ષમાં ઘણી ઓછી થઇ ગઈ છે." ચૉન્ચુમ એ રાક જાતિના ભરવાડોનાં સમુદાયના એક માલધારી ભરવાડ છે. સ્વતંત્ર સંશોધકોના કહેવા મુજબ, ભરવાડના એક કુટુંબના આવકના બધા સ્ત્રોત એકઠા કરે થતી કુટુંબની સરેરાશ માસિક આવક 2012માં લગભગ 8,500ની આસપાસ હતી.
યાકનું દૂધ એ ભરવાડની આવકનો મહત્વનો હિસ્સો છે અને યાક ઉછેરમાંથી થતી 60 ટકા આવક દૂધની છે. ચાંગપાની બીજી આવક છે ખુલૂ (યાકના વાળ) અને ઊન. એટલે યાકની ઘટતી સંખ્યા અને દૂધ ઉત્પાદનને કારણે એમની આવક પર ખતરનાક અસર થઈ છે. આ બધા પરિવર્તનો યાક-સંબંધી અર્થવ્યવસ્થા માટે વધુ તણાવભરી પરિસ્થિતિ ઉભી કરે છે.
ત્સેરિંગ ચૉન્ચુમના કહે છે, "હવે ના સમય પર વરસાદ આવે છે ના સમય પર બરફ પડે છે. અને એટલે જ પર્વત પર પૂરતું ઘાસ પણ નથી. અને એને લીધે અહીં આવતા ભ્રમણશીલ માલધારીઓ પણ ઘટી ગયા છે. હું કહીશ કે લગભગ 40 ટકા જેટલા ઘટી ગયા છે (290 જેટલા માલધારીઓના કુટુંબો હતા અહીંયા) અને આ બઘી મુશ્કેલીઓ આવે છે જ આ ફેરફારોને લીધે, ઘાસની તંગીને લીધે.
મારો છોકરો સ્થાનિક વેધશાળામાં કામ કરે છે-- જે વિચારીને મને થોડી રાહત મળે છે. ચાંગપા કુટુંબોના ઘણા નવયુવાનો સરહદ માર્ગ સંસ્થામાં કે અનામત ઈજનેર દળની રસ્તા બાંધવાની યોજનાઓમાં દૈનિક મજૂર તરીકે કામ કરે છે." ઘણા કામની શોધમાં બીજે ઠેકાણે પણ ગયા છે.
એ વેધશાળામાં કામ કરવાવાળો છોકરો તે સોનમ દોરજી, જેણે મને આ પ્રવાસ ખેડવામાં મદદ કરી. સોનમે પોતે પણ પર્વતમાં થઇ રહેલા પરિવર્તનોની નોંધ કરી છે.
'વાતાવરણમાં ઘણા પરિવર્તનો થઇ રહ્યા છે. હું 15 વર્ષનો હતો ત્યારે અહીંયા ઘણી ઠંડી પડતી... જે લોકો જાણે છે તે કહેશે કે -35 અંશ જેટલું નીચું જતું રહેતું”

તેઓ કહે છે, "વાતાવરણમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. હું જયારે 15 વર્ષનો હતો (હું અત્યારે 43 વર્ષનો છું, એટલે હું 30 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું), ત્યારે અહીંયા ઠંડી વધારે પડતી. એ વખતે મેં જાતે તાપમાન માપ્યું નહોતું પણ જે લોકો જાણે છે એ લોકો કહેશે કે એ -35 અંશ જેટલું નીચું જતું. એટલે લોકોના કપડા પણ એ જાતની ઠંડી સહન કરી શકાય એ રીતના હતા. કોઈ કૃત્રિમ કાપડની બંડી નહોતી જેવી આજકાલ બધા પહેરે છે. એ લોકો જે પણ પહેરતા એ બધું પશ્મિના ઘેટાંના ઊનમાંથી બનતું -- ટોપીઓ, કપડાં, બધું. જૂતાના તળિયામાં અંદરની બાજુ યાકની ચપટી કરેલી ચામડી રહેતી ને બાકી દેશી કપડું, અને એને દોરીઓથી બાંધવામાં આવતા છેક ઘૂટણ સુધી. હવે એવા જૂતા ક્યાંય જોવાજ નથી મળતા.
સંશોધક ટૂંડુપ આન્ગમે અને એસ એન મિશ્રા એમના 2016ના શોધનિબંધ "વાતાવરણના પરિવર્તનોની હિમાલયના લદ્દાખ અને લાહૌલ અને સ્પીતીના વિસ્તારોમાં થતી અસર" માં જણાવે છે કે આ એક ચેતવણી જ છે. "હવામાનખાતામાંથી (લેહના હવાઇદળની છાવણીપરના) મળતા આંકડા મુજબ એ સ્પષ્ટ વર્તાય છે કે લેહના તાપમાનમાં છેલ્લા 35 વર્ષમાં શિયાળાના મહિનાઓમાં 1 અંશ સેન્ટીગ્રેડની અને ઉનાળામાં 0.5 અંશ સેન્ટીગ્રેડની વૃદ્ધિનું વલણ છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં વરસાદના પ્રમાણમાં પણ ચોખ્ખો ઘટાડો છે અને એનો અર્થ છે હિમવર્ષામાં ઘટાડો.
એ લોકો એમ પણ કહે છે કે, "છેલ્લા થોડા વર્ષોમાં વૈશ્વિક વાતાવરણના પરિવર્તનો લદ્દાખ અને લાહૌલ તેમજ સ્પિતીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વરસાદ અને હિમવર્ષાના ચક્રો બદલાઈ રહ્યા છે, જે નદી ને ઝરણાંના વહેતા પાણી પર અસર કરે છે અને તાપમાન અને ભેજમાં વૃદ્ધિ કરે છે જે જંતુઓ ને જીવાતને અનૂકૂળ વાતાવરણ હોવાથી એમનો ઉપદ્રવ વધે છે."
ત્યાં ઝમ્પાલ ત્સેરિંગના તંબુમાં એમનો મિત્ર સંગદા દોરજી અમને પૂછે છે, "આ વખતે તમે રેબો કેટલા જોયા?
ચાંગપા જે તંબુઓમાં રહે છે એને રેબો કહે છે. રેબો પરિવારના લોકો યાકના ઊનમાંથી કાંતેલા, વણેલા કપડાને સીવીને તૈયાર કરે છે. એનાથી માલધારીઓને તીવ્ર ઠંડી અને હિમભર્યાં પવનોથી રક્ષણ મળે છે.
"મોટાભાગના પરિવારો પાસે (હવે) રેબો નથી," એવું સંગદા કહે છે. નવો રેબો સીવવા માટે ઊન ક્યાં છે? યાકના ઊનની ગુણવત્તા પણ છેલ્લા કેટલા વર્ષોમાં ઘણી ઉતરતી ગઈ છે. રેબો વગર અમારી ભ્રમણશીલ જીવનપધ્ધતિનો એક મુખ્ય ભાગ જતો રહ્યો છે અને હું એના માટે ગરમ થતા જતા શિયાળાને જવાબદાર ગણું છું."
મને સમજાવા લાગ્યું છે કે મે મહિનામાં જે સિક્કીમમાં થયું તે સાવ આડુંઅવળું નહોતું ખરી દુર્દશા તો હજુ આવવામાં છે. માલધારીઓ કલાઇમેટ ચેન્જ જેવા શબ્દો વાપરતા નથી પણ એની અસરો ખૂબ સચોટ રીતે વર્ણવે છે. અને એ લોકો સમજે છે કે ફેરફારો ઘણા મોટા છે, જેમકે આપણને દોરજી અને ત્સેરીન ચોન્ચમના શબ્દોમાં વર્તાય છે.એ લોકો એ પણ સમજે છે કે ઘણા મહત્વના ફેરફારો અને પલટા મહદઅંશે માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. કદાચ એટલે જ 60 વર્ષના વડીલ માલધારી ગુંબુ તાશી મને કહે છે: "હા, પર્વતમાં વાતાવરણ થોડું વિચિત્ર છે. કહી ના શકાય એવું। શક્ય છે આપણે પર્વતદેવને નારાજ કર્યા હોય."
Ritayan Mukherjee
Ritayan Mukherjee
Ritayan Mukherjee

Ritayan Mukherjee
Ritayan Mukherjee
Ritayan Mukherjee
Ritayan Mukherjee
Ritayan Mukherjee
Ritayan Mukherjee
Ritayan Mukherjee
Ritayan Mukherjee
PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાંનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ આપતી UNDPની સહાયનો ભાગ છે.
આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને cc મોકલો: [email protected]
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/લાગે-છે-આપણે-પર્વત-દેવને-નારાજ-કર્યા-છે

