મદુરાઈમાં અમારા ઘર સામે દીવાબત્તીનો એક થાંભલો છે, જેની સાથે મારે કંઈક વાર્તાલાપ થયેલા છે. એ દીવાબત્તીના થાંભલા સાથે મારે અનોખો સંબંધ છે. વર્ષો સુધી, મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી, અમારે ઘેર વીજળીની સુવિધા નહોતી. ૨૦૦૬માં અમને વીજળી મળી ત્યારે અમે ૮x૮ ફૂટના ઘરમાં રહેતા હતા. અમારા 5 જણ વચ્ચે ફક્ત એક જ ઓરડી. પરિણામે મારે શેરીના દીવાબત્તીના થાંભલા સાથે વધુ નજીકનો નાતો બંધાયો.
મારા બાળપણમાં અમે કંઈ કેટલીય વાર ઘરો બદલ્યા, નાનકડી ઝૂંપડીથી માટીના મકાનમાં, ત્યાંથી ભાડાની ઓરડીમાં, ને ત્યાંથી ૨૦x૨૦ ફૂટના ઘરમાં, જ્યાં અમે અત્યારે રહીએ છીએ. આ ઘર મારા માબાપે ધીમે ધીમે કરીને 12 વર્ષે ઊભું કર્યું છે. આ મકાન ચણવા તેમણે એક કડિયો રોજે રાખ્યો હતો ખરો, પણ આ ઘર બનાવવામાં મારા માબાપે તેમનો જીવ રેડી દીધો હતો અને એ મકાન હજુ તો ચણાતું હતું ત્યારે જ અમે તેમાં રહેવા આવી ગયા હતા. અમારા બધા ઘરો એ દીવાબત્તીના થાંભલાની આસપાસ જ હતા. તેના અજવાળે જ મેં ચે ગૂવેરા, નેપોલિયન, સુજાતા અને બીજા પુસ્તકો વાંચ્યા હતા.
આજે પણ દીવાબત્તીનો એ જ થાંભલો આ લખાણનો સાક્ષી છે.






























