જાન્યુઆરીની એક ઠંડી રાત્રે 9 વાગ્યા છે અને લગભગ 400 પ્રેક્ષકો કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ કાર્યક્રમ એક કલાક પહેલાં શરૂ થવાનો હતો.
અચાનક, આગળના કામચલાઉ મંચની આસપાસ હિલચાલ થવા લાગી. વાંસના માંચડા સાથે બાંધેલું એક લાઉડસ્પીકર ધ્રુજવા લાગે છે અને તેમાંથી અવાજ આવે છે: “આપણે ટૂંક સમયમાં મા બનબીબીને સમર્પિત કાવ્ય નાટક શરૂ કરીશું… એ મા બનબીબી કે જે બધાં જ અનિષ્ટ સામે રક્ષણ આપે છે!”
ગોસાબા બ્લોકના જવાહર કોલોની ગામમાં આમતેમ ફરતા લોકો એક જગ્યાએ એકઠા થવાનું શરૂ કરે છે, જેઓ દુષ્ટ ભૂતપ્રેત, સાપ, મગર, વાઘ, મધમાખીઓ વગેરે જેવા ‘અનિષ્ટ’ ને આથારો ભાતિર દેશ (18 જુવાળની જમીન) માં દેવી બોનબીની દ્વારા પરાજિત થતાં જોવા માટે ઉત્સુક છે. આ સુંદરવન છે, જે પ્રાણીઓ, છોડ, પક્ષીઓ, સરિસૃપ અને સસ્તન પ્રાણીઓથી ભરપૂર ખારા અને તાજા પાણીના જળાશયો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ છે. અહીં, બનબીબીની વાર્તાઓ પેઢી દર પેઢી કહેવામાં આવે છે અને તે પ્રદેશની લોકવાયકામાં ભળી ગઈ છે.
એક પડદાની મદદથી શેરીથી અલગ કરાયેલ વેશભૂષા ખંડ, બનબીબી પાલ ગાનના સંગીતમય નાટક માટે એકઠા થયેલા પ્રેક્ષકો અને કલાકારોથી ગુંજી રહ્યો છે. તાડપત્રીની દિવાલો પર ગોઠવવામાં આવેલા મોટા મધપૂડા અને વાઘના ટેરાકોટા માસ્ક જેવા ઉપકરણો તેમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે, જેમનો આજના નાટ્યપ્રોયોગમાં ઉપયોગ થવાનો છે. આ નાટ્યપ્રયોગોની વિષયવસ્તુ મોટેભાગે સુંદરવનમાં વસતા લોકોના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે – જ્યાં 2020માં 96 વાઘ રહેતા હતા.



































