એસ. મુથુપેચી શાંતિથી તેમની મુશ્કેલીઓ વર્ણવે છે. તેમની પરંપરાગત કળા કારાગટ્ટમ જે તેમની કમાણીનું સાધન છે, તે આખી રાત નૃત્ય કરવા માટે કુશળતા અને તાકાત માંગી લે છે. તેમ છતાં, આ કલાકારોની સાથે કલંકિતો જેવું અને ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે, અને તેમની પાસે ખૂબ જ ઓછી સામાજિક સુરક્ષા હોય છે. ૪૪ વર્ષીય મુથુપેચીએ આ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
તેમના પતિનું દસ વર્ષ પહેલાં નિધન થયું હોવાથી મુથુપેચી વિધવા છે. તેમણે તમામ જીવન ખર્ચની વ્યવસ્થા પણ કરી અને પોતાની કમાણીથી તેમની બે પુત્રીઓના લગ્ન પણ કરાવ્યા. પરંતુ તે પછી, કોવિડ-૧૯ ત્રાટક્યું.
જ્યારે તેઓ કોરોના વાયરસ વિષે બોલે છે ત્યારે તેમનો અવાજ ગુસ્સા અને કરુણાથી ભરેલો છે. તેઓ આ રોગને કોસતા કહે છે કે, “પાઝા પોના કોરોના [આ મનહુસ કોરોના]. જાહેર પ્રદર્શનો બંધ હોવાને લીધે કોઈ આવક પણ નથી. મારે મારી દીકરીઓ પાસેથી પૈસા લેવાની ફરજ પડી છે.”
મુથુપેચી આગળ ઉમેરે છે કે, “આ સરકારે ગયા વર્ષે ૨,૦૦૦ રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ અમને ૧,૦૦૦ રૂપિયા જ મળ્યા છે. અમે આ વર્ષે મદુરાઈના કલેકટરને અપીલ કરી છે, પણ હજુ સુધી કંઈ થયું નથી.” એપ્રિલ-મે ૨૦૨૦માં તમિલનાડુ સરકારે રાષ્ટ્રીય લોક કલાકાર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા કલાકારોને ૧,૦૦૦ રૂપિયાનું ખાસ વળતર બે વખત આપવાની જાહેરાત કરી હતી.
લોકકળાના સ્વરૂપોના પ્રખ્યાત કલાકાર અને શિક્ષક મદુરાઇ ગોવિંદરાજ કહે છે કે મહામારીની શરૂઆત થઇ ત્યારથી મદુરાઈ જિલ્લાના આશરે ૧,૨૦૦ જેટલા કલાકારો કામ ન મળવાને લીધે વિવિધ તકલીફોનો સામનો કરી રહ્યા છે. હું મે મહિનામાં આંબેડકર નગર વિસ્તારના અવનીયાપુરમ નગરમાં, મુથુપેચીને જ્યાં મળી ત્યાં જ આશરે ૧૨૦ જેટલા કારાગટ્ટમના કલાકારો રહે છે.
કારાગટ્ટમ એ એક ગ્રામીણ નૃત્ય સ્વરૂપ છે જે ખાસ કરીને મંદિરોમાં ધાર્મિક તહેવારો દરમિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લગ્ન જેવા સામાજિક કાર્યોમાં અને અંતિમ સંસ્કાર દરમિયાન યોજવામાં આવે છે. કલાકારો દલિત છે અને આદી દ્રવિડ જાતિના છે. તેઓ જીવન નિર્વાહ માટે તેમની કળા પર આધાર રાખે છે.
કારાગટ્ટમ એક જૂથ નૃત્ય છે, જે સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે, જેમાં ભારે સજાવટવાળા ઘડા તેઓ પોતાના માથા પર સંતુલિત કરે છે. તેઓ ઘણીવાર રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૩ વાગ્યા સુધી આખી રાત નૃત્ય કરે છે.













