રવેન્દ્રસિંહ બારગાહી કહે છે, “મારે માલિકને 25000 રુપિયા આપવાના બાકી છે. આ દેવું ચુકવ્યા વિના હું આધિયા કિસાની છોડી ન શકું. અગર છોડ દિયા તો યે વાદા ખિલાફી માના જાયેગા [જો હું છોડી દઉં તો તે વચનભંગ ગણાશે]."
રવેન્દ્ર મધ્યપ્રદેશના મુગવારી ગામમાં રહે છે. ત્યાં તે લગભગ 20 વર્ષથી ભાડૂત ખેડૂત તરીકે ખેતર ખેડે છે. આધિયા કિસાની (ખેતી) એ - મધ્ય પ્રદેશના સીધી અને નજીકના જિલ્લાઓમાં, લગભગ આખા વિંધ્ય પ્રદેશમાં પ્રચલિત - પરંપરાગત, મૌખિક કરારનો નિર્દેશ કરે છે - જેના દ્વારા માલિક (જમીન માલિક) અને ભાડૂત સમાન હિસ્સામાં ખેતી-ખર્ચ ચૂકવે છે અને ઊપજ પણ અડધી-અડધી વહેંચે છે.
રવેન્દ્ર અને તેની પત્ની મમતા આઠ એકર જમીનમાં સામાન્ય રીતે ડાંગર, ઘઉં, રાઈ, મગ અને તુવેર વાવે છે. પરંતુ આધિયા જેનો અર્થ - મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં બોલાતી હિન્દી બોલી - બઘેલીમાં ‘અડધું’ છે - તે ખરેખર તેમના પરિવાર માટે અડધું નથી.
આ અનૌપચારિક કરાર, જે ભારતભરમાં જુદા જુદા સ્વરૂપો લે છે, તેમાં જમીન માલિક કયો પાક ઉગાડવો તે સહિતના તમામ ખેતી-સંબંધિત નિર્ણયો લે છે. પરંતુ જ્યારે - ભારે ઠંડી, કમોસમી વરસાદ, કરાના તોફાનને કારણે - પાકને નુકસાન થાય છે અને જમીન માલિકોને રાજ્ય અથવા વીમા કંપનીઓ દ્વારા વળતર મળે છે, ત્યારે ભાડૂતને આ રાહતનો કોઈ ભાગ મળતો નથી.





