ચેન્નાઈમાં યોજાયેલી તમિળનાડુ રાજ્યની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જેમના સૌથી વધુ ફોટા પાડવામાં આવ્યા હોય અને સૌથી વધુ ચર્ચા થઇ રહી હોય એવા વ્યક્તિઓમાંથી જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ઘોડાની લગામ પકડેલી સુપ્રસિદ્ધ રાણી વેલુ નચિયાર એ ઐતિહાસિક હતા. તેમની સાથે એ ઝાંખીમાં વી..ઓ. ચિદમ્બરમ પિલ્લઈ, સુબ્રમણ્યમ ભારતી અને મરુથુ ભાઈઓ જેવા વિખ્યાત તમિલ વ્યક્તિઓ હતા.
‘સ્વતંત્રતા સંગ્રામમાં તમિળનાડુ’ નું પ્રતિનિધિત્વ કરતી આ ઝાંખીને કેન્દ્ર સરકારની ‘નિષ્ણાંત’ સમિતિએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે નામંજૂર કરી હતી. તમિળનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને આ અંગે વડા પ્રધાનને હસ્તક્ષેપ કરવા માટે કરેલી વિનંતી પર પણ કંઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આખરે ચેન્નાઈમાં રાજ્યની પોતાની પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ દૃશ્યરચના ભારે લોકપ્રિય રહી હતી.
કેન્દ્રની ‘નિષ્ણાંત’ સમિતિએ બીજા કારણો સાથે એવું પણ નોંધ્યું હતું કે કેટલીક પ્રતિમાઓ “રાષ્ટ્રીય પ્રેક્ષકો માટે અજાણી” હતી. અક્ષયા કૃષ્ણમૂર્તિ કદાચ આનાથી અસંમત છે. તેઓ માને છે કે તેમાંથી એકની સાથે તેમને અંગત જોડાણ છે: વેલુ નચિયાર, જેમણે અંગ્રેજો સામે લડાઈ લડી હતી અને ૧૭૯૬માં તેમના મૃત્યુ પર્યંત શિવગંગાઈ (અત્યારે તમિળનાડુમાં એક જિલ્લો) પર શાસન કર્યું હતું.
તેઓ કહે છે, “મારા જીવનમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે મેં મારી શાળાના ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતી વખતે નૃત્ય નાટકમાં વેલુ નચિયારની મુખ્ય ભૂમિકા ભજવી.”
અક્ષયા સમજાવે છે કે, “પરંતુ તે ફક્ત અભિનય અને નૃત્ય જ નહોતું. તેમણે ગીતો અને તેના શબ્દો દ્વારા ‘વીરમંગાઈ’ - જે હુલામણા નામથી રાણી ઓળખાય છે તેની તાકાત અને હિંમત અનુભવી હતી. એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના, અક્ષયાને યાદ છે કે આંતર-શાળા સ્પર્ધાના દિવસે તેમની તબિયત ખરાબ હતી અને તેઓ નૃત્ય પ્રદર્શન કરી શકશે કે કેમ તેની ખાતરી નહોતી. પરંતુ તેમણે એ નૃત્યમાં તેમનો જીવ રેડી દીધો હતો.
મંચ પરથી નીચે ઊતરતી વખતે તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને બોટલ ચડાવવી પડી હતી. “મેં મારા હાથમાં બાટલો ચડાવવા માટે નાખેલી સોય સાથે ઈનામ સ્વીકાર્યું હતું - અમે બીજા ક્રમે આવ્યા હતા.” આ બનાવે તેમને પોતાની ક્ષમતામાં વિશ્વાસ કરવાનું શીખવ્યું. આનાથી તેઓ “ખૂબ જ હિંમતવાન બન્યા,” અને બાઇક અને કાર ચલાવતા શીખી ગયા.












