એસ. રામસામી તેમના જૂના મિત્ર સાથે મારો પરિચય કરાવે છે. તેઓ તેમના પ્રિય સાથી દ્વારા આકર્ષિત મુલાકાતીઓની વાત અભિમાનથી કરે છે: અખબારો, ટીવી ચેનલો, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને બીજા. કોઈ પણ વિગત ચૂકી ન જવાય તેની તેઓ કાળજી રાખે છે. આખરે તેઓ એક સેલિબ્રિટી, એક વીઆઈપી વિશે વાત કરી રહ્યા છે.
આ મિત્ર છે 200 વર્ષ જૂનું એક વૃક્ષ: માળીગમપટ્ટનું પ્રસિદ્ધ આયિરમકાચી.
આયિરમકાચી એ પલા મરમ, ફણસનું ઝાડ છે, અને તે પહોળું અને ઊંચું અને ફળદ્રુપ છે. એટલું તો પહોળું છે કે તેની ફરતે આંટો મારતાં 25 સેકન્ડ લાગે છે. તેના જૂના-પુરાણા થડમાંથી એકસોથી વધુ કાંટાળા લીલા ફળો લટકે છે. આ ઝાડની સામે ઊભા રહેવું એ સદ્ભાગ્ય. તેની પ્રદક્ષિણા કરવી એ લ્હાવો. મારી પ્રતિક્રિયા સાંભળી રામસામી એક વિશાળ સ્મિત કરે છે; ખુશી અને ગર્વથી અધ્ધર થયેલી એમની મૂછો છેક એમની આંખોને આંબી જાય છે. તેમના 71 વર્ષોમાં તેમણે તેમના આ વૃક્ષ દ્વારા પ્રભાવિત થયેલા ઘણા મહેમાનોને જોયા છે. તેઓ મને આગળ કહે છે...
“આપણે કડ્ડલોર જિલ્લાના પનૃત્તિ બ્લોકના માળીગમપટ્ટ ગામમાં છીએ.” ઝાડની સામે ખાવી (ગેરુઆ રંગની) ધોતીમાં, તેમના પાતળા ખભા પર ટુવાલ નાખીને ઊભા રહીને તેઓ વાત કરવાનું ચાલુ રાખે છે. આ વૃક્ષ પાંચ પેઢી પહેલા મારા પૂર્વજ દ્વારા વાવવામાં આવ્યું હતું. અમે તેને 'આયિરમકાચી', 1000 ફળ આપનારું કહીએ છીએ. હવે વાસ્તવમાં તે વર્ષમાં 200 થી 300 ફળ આપે છે, અને એ 8 થી 10 દિવસમાં પાકે છે. પેશીઓ સ્વાદિષ્ટ હોય છે, તેનો રંગ સુંદર હોય છે અને કાચી પેશીઓને બિરિયાનીમાં પણ રાંધી પણ શકાય છે.” અને અડધી મિનિટમાં તો તેઓ ઉત્સાહપૂર્વક તેના અનેક ગુણો વખાણે છે. તેમના વૃક્ષની જેમ તેમનું વક્તવ્ય પણ સમયની સાથે સાથે ઘડાયું છે અને અસરકારક બન્યું છે.


















